गुजरात

અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા | Ahmedabad: 20 Year Old Fatally Stabbed in Behrampura Tension in Area



Ahmedabad Crime: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં શનિવાર (21મી ફેબ્રુઆરી)ની રાત્રે નજીવી બાબતે કે અન્ય કોઈ અદાવતમાં એક 19 વર્ષીય યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, આ લોહિયાળ ઘટના શનિવારે રાત્રે અંદાજે 10:00 વાગ્યાના અરસામાં બની હતી. બહેરામપુરા વિસ્તારમાં રહેતા 19 વર્ષીય હિમેશ પરમાર પર અજાણ્યા શખસોએ છરી વડે આડેધડ હુમલો કર્યો હતો. હુમલાખોરો હિમેશને લોહીલુહાણ હાલતમાં મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે સ્થિતિનો તાગ મેળવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક હિમેશ પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અજાણ્યા શખસો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કાગડાપીઠ પોલીસ સ્ટેશનના બહેરામપુરા ચોકી વિસ્તારમાં લગભગ એકાદ કલાક પહેલા આ હત્યાની ઘટના બની છે. જેની માહિતી મળતા જ અમે તાત્કાલિક અહીં પહોંચીને આખા વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને તપાસ માટે FSLની ટીમને પણ બોલાવી લીધી છે. આ બનાવમાં ભોગ બનનાર યુવાન 19 વર્ષનો હિમેશ છે, જે જ્યારે પોતાના વાહન પર આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની સાથે આ બનાવ બન્યો હતો.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘અમારા માનવા મુજબ અને પ્રાથમિક તપાસમાં શરીર પરના ઘા જોતા લાગે છે કે આ હત્યામાં છરી અથવા કોઈ અન્ય તીક્ષ્ણ ધારદાર હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે અમારી પાસે કેટલાક શંકાસ્પદ નામો આવ્યા છે, પરંતુ પૂરતા પુરાવા અને એવિડન્સ મળ્યા બાદ જ અમે આ બાબતે વધુ સ્પષ્ટતા કરી શકીશું. અમે હિમેશના પરિવારજનો, મિત્રો અને પેરેન્ટ્સની પણ પૂછપરછ કરી છે, પરંતુ તેઓ હાલ ખૂબ જ શોકમગ્ન હોવાથી કોઈ જૂની અદાવત, તાજેતરના ઝગડા કે અન્ય કોઈ કારણ વિશે અત્યારે કોઈ સચોટ માહિતી મળી નથી. છતાં પણ, અમે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને અલગ-અલગ દિશાઓમાં તપાસ કરી રહ્યા છીએ જેથી અમે સચોટ પુરાવા સુધી પહોંચી શકીએ.’

આ પણ વાંચો: અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઇડર કટ બંધ કરાતા સ્થાનિકોમાં રોષ

વિસ્તારમાં ભયનો માહોલ

રાત્રિના સમયે જાહેર રોડ પર થયેલી આ હત્યાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 19 વર્ષની વયે યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.



Source link

Related Articles

Back to top button