1 એપ્રિલથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમો લાગુ, સુપ્રીમના આદેશ | New rules for solid waste management to come into effect from April 1 Supreme Court orders

![]()
– નિયમોનું પાલન ન કરનારા અધિકારીઓ સામે ક્રિમિનલ કેસ થશે
– કચરો માત્ર સ્વાસ્થ્ય જ નહીં અર્થવ્યવસ્થા માટે પણ જોખમી જેને પહોંચીવળવા દેશવ્યાપી સંયુક્ત અભિયાન જરૂરી : સુપ્રીમ
– શિક્ષણ વિભાગ, પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડ, કલેક્ટર, કાઉન્સિલરો, વોર્ડના સભ્યો તમામ માટે આદેશ જારી
નવી દિલ્હી : સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો ૨૦૨૬ને પુરા દેશમાં લાગુ કરવા માટે સુપ્રીમ કોર્ટે કેટલાક આદેશ જારી કર્યા છે, જે મુજબ ૧ એપ્રીલ ૨૦૨૬થી આ નિયમો સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણનો અધિકાર જીવનના અધિકારનો એક હિસ્સો છે, જો કચરા અને ગંદકી પર ધ્યાન આપવામાં ના આવ્યું તો તેની અસર સ્વાસ્થ્યની સાથે અર્થવ્યવસ્થા પર પણ પડશે. જવાબદાર અધિકારીઓ સામે નિષ્ફળતા બદલ કેસ પણ ચલાવાશે.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પંકજ મિત્તલ અને ન્યાયાધીશ એસ એન વી ભટ્ટીની બેંચે કહ્યું હતું કે જ્યારે ટેક્નોલોજીને લઇને ચાલી રહેલી પ્રવૃત્તિઓને કારણે સમગ્ર વિશ્વની નજર ભારત પર છે ત્યારે ભારતે ૨૦૨૬ના વેસ્ટ મેનેજમેન્ટ નિયમોનો યોગ્ય રીતે અમલ કરવો જોઇએ.
મેટ્રોપોલિટન વિસ્તારમાં ડમ્પસાઇટ સક્રિય છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટીના બે આદેશોને કારણે શરૂ થયેલો વિવાદ સુપ્રીમ પહોંચ્યો હતો, આ વિવાદ ભોપાલ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોને લાગુ કરવા સાથે જોડાયેલો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કાઉન્સિલરો, વોર્ડના સભ્યોએ પોતાના વિસ્તારના તમામ નાગરિકો સુધી ૨૦૨૬ના નિયમો પહોંચાડવા જોઇએ અને તેમને સામેલ કરવા જોઇએ, આ તેમની ફરજ રહેશે. જ્યારે કલેક્ટરોને કચરા વ્યવસ્થાપનના મૂળભૂત માળખાનું ઓડિટ કરવા વગેરેના અધિકારો આપવામાં આવ્યા છે. આ સાથે જ પ્રદુષણ કન્ટ્રોલ બોર્ડને આદેશ આપ્યો છે કે તે ભીનો, સુકો, સ્વચ્છતા અને વિશેષ દેખરેખ માટે જરૂરી પૃથક્કરણ માટે યોગ્ય વ્યવસ્થા પર ધ્યાન આપે. સાથે જ કોર્ટે શિક્ષણ મંત્રાલયને કચરા મેનેજમેન્ટને સ્કૂલના અભ્યાસક્રમોમાં સામેલ કરવા અને નિયમોનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવાના આદેશ પણ આપ્યા છે.
ત્રણ કેટેગરીમાં લેયર પણ પાડવામાં આવ્યા છે, લેયર એક મુજબ લોકલ ઓથોરિટી દ્વારા શરૂઆતમાં પાલન ના કરવામાં આવે તો દંડ કરવામાં આવશે, લેયર બે મુજબ સતત બેદરકારી બદલ ક્રિમિનલ કેસ ચલાવવામાં આવશે, લેયર ત્રણ મુજબ એ તમામ લોકો પર કેસ ચલાવવામાં આવશે જે પોતાની કાયદાકીય જવાબદારીનું યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યા છે. આમા એ અધિકારીઓ પણ સામેલ કરાશે જે પોતાની ડયુટી નથી નિભાવી રહ્યા. સુપ્રીમ કોર્ટે કચરાના નિકાલ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવા આ આદેશ જારી કર્યા છે.



