નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણીની નિમણૂક કરાઈ | Nadiad Sessions Court appoints Girish Dani as new trustee in Dakor Temple Committee

![]()
– મંદિરના વહીવટી માળખામાં લાંબા સમયથી ચાલી રહેલી એકચક્રી શાસન જેવી સ્થિતિનો અંત આવ્યો
– કમિટીમાં કુલ 5 ટ્રસ્ટીની જોગવાઈ હોવાથી નવી નિમણૂક બાદ પણ ટ્રસ્ટીઓની કુલ સંખ્યા ૨ પર પહોંચી, હાલ કમિટીમાં ત્રણ ટ્રસ્ટીઓની જગ્યાઓ ખાલી હોવાથી આગામી સમયમાં અન્ય નિમણૂકોની સંભાવના
નડિયાદ,ડાકોર : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરના વહીવટ અને વ્યવસ્થાપન માટે જવાબદાર એવી ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી છે. નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેતા ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણીની નિમણૂક પર મહોર મારવામાં આવી છે.
ગિરીશ દાણી કર્ણાવતી ક્લબના પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટર તરીકે કાર્યરત છે અને હવે તેમની વરણી ડાકોર મંદિરના ટ્રસ્ટી મંડળમાં કરવામાં આવી છે. આ નિમણૂક સાથે જ મંદિરના વહીવટી માળખામાં લાંબા સમયથી ચાલી રહેલી એકચક્રી શાસન જેવી સ્થિતિનો અંત આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટીમાં કુલ ૫ ટ્રસ્ટીઓની જોગવાઈ કરવામાં આવેલી છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી આ કમિટી માત્ર એક જ ટ્રસ્ટી અને ચેરમેન પરિન્દુ ભગત દ્વારા ચલાવવામાં આવી રહી હતી. ટ્રસ્ટીઓની જગ્યાઓ ખાલી હોવાને કારણે કોર્ટમાં નવી નિમણૂકો માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે ગિરીશ દાણીની પસંદગી કરવામાં આવી છે. જોકે નવી નિમણૂક બાદ પણ હવે ટ્રસ્ટીઓની કુલ સંખ્યા ૨ પર પહોંચી છે, જેનો અર્થ એ છે કે હજુ પણ કમિટીમાં ૩ ટ્રસ્ટીઓની જગ્યાઓ ખાલી છે. ટેમ્પલ કમિટીમાં ટ્રસ્ટીઓની નિમણૂક નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા જ કરવામાં આવતી હોય છે અને બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે પણ આગામી સમયમાં પ્રક્રિયા તેજ બને તેવી શક્યતા છે. આ નિમણૂકથી મંદિરના વહીવટી કાર્યોેમાં વધુ ગતિશીલતા આવશે અને મોટા નિર્ણયો લેવામાં સરળતા રહેશે તેવું માનવામાં આવે છે.



