“આ માણસે કોઈને છોડ્યા નથી..”: સુરત પાલિકાના એન્જિનિયર લાંચ કેસમાં ફસાતા ભાજપના નેતાનો મોટો ધડાકો | ACB FIR against Executive Engineer and Agent BJP Member Alleges Massive Corruption in Surat

BJP Member Alleges Massive Corruption In Surat : સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં કાયપાલક ઈજનેર અને તેમના એજન્ટ પર એસીબીની રેડ બાદ શિક્ષણ સમિતિના ભાજપના સભ્યએ સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટથી સુરતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પાલિકાના લિંબાયત ઝોનમાં લાંબા સમયથી ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો પુરાવો ખુદ ભાજપના જ સભ્યએ આપી દીધો છે. ભાજપના સભ્યએ લખ્યું છે કે, ‘આ વ્યક્તિએ કોઈને છોડ્યા નથી મારા પરિવારને પણ નહીં. આ પોસ્ટના કારણે લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારના પુરા ભરડામાં આવ્યો હોવાની સાબિતી મળી ગઈ છે.’
સુરત પાલિકાના લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા અને એજન્ટ મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના જમીલ ખાન પઠાણ સામે ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ બાદ શિક્ષણ સમિતિના સભ્ય સંજય પાટીલની સોશિયલ મીડિયાની પોસ્ટ ચર્ચાનો વિષય બની છે.

સંજય પાટીલે પોસ્ટમાં લખ્યું કે, ‘આ વ્યક્તિએ કોઈને ના છોડ્યા, એના ભોગ બનેલા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ઘણા પૂર્વ નગરસેવક અને શિક્ષણ સમિતિના સભ્ય નાતે મારી પાસે આવતા ત્યારે મારે ભારે હૈયે કહેવું પડતુ કે એણે મારા પરિવારને પણ નથી છોડ્યો. કરેલા કર્મોનુ ફળ અહીં જ ભોગવવુ પડે તે ગુજરાતી કહેવત સાચી પડી. એનો ભોગ હું પણ બનેલો છું, મારું ડિમોલેશન કર્યું, મે મિલકત વેચી નાખી અને આજે ત્યાં 4 માળની બિલ્ડિંગ મેળાપીપણાથી ધમધમી રહી છે, હવે કાયદેસર થઈ??? મારી G+1 હતી ગેરકાયદેસર અને હવે G+3 કાયદેસર???’
આ પોસ્ટમાં કાર્યપાલક ઇજનેર તથા અન્યના ફોટા પણ છે. સંજય પાટીલ પૂર્વ કોર્પોરેટર છે અને હાલ શિક્ષણ સમિતિના શાસક પક્ષના સભ્ય છે, જો તેમને પણ કાર્યપાલક ઈજનેરે છોડ્યા ન હોય તો સામાન્ય પ્રજાના શું હાલ હશે. એસીબીની રેડ મામલે ભાજપના જ સભ્યએ પોસ્ટ મુકી છે, ત્યારે લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારનો કેવો ભરડો છે તે અંદાજો લગાવવો મુશ્કેલ છે.


