વડોદરા: બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલો રોડ ખોદી કાઢ્યો | Lack of Coordination in VMC: Newly Built Road Dug Up Due to Drainage Issues

![]()
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન બિલ્ડીંગથી પ્રતાપનગર બ્રિજ જવાના રસ્તે તાજેતરમાં નવો રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે બીજી તરફ ડ્રેનેજ લાઈનની સમસ્યાના કારણે નવીન બનાવેલો રોડ પાલિકા તંત્ર દ્વારા ખોદાતા પાલિકાના જ બે વિભાગ વચ્ચે આંતરિક સંકલન ન હોવાનું સ્પષ્ટ થયું છે. સમગ્ર કામગીરી એક વિવાદિત હોવાનું જણાવી સામાજિક કાર્યકર્તાએ ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો છે.
શહેરના નવાપુરા વિસ્તારમાં જયરત્ન બિલ્ડીંગની આજુબાજુ ગંદા પાણીની સમસ્યા અંગે વારંવાર સ્થાનિક નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવતી હતી. જે બાદ પાલિકા તંત્રએ જયરત્ન બિલ્ડિંગ પાસે અગાઉ લગભગ ત્રણવાર અહીં ખાડા ખોદી ડ્રેનેજ લાઈન મરામતની કામગીરી કરી હતી. તે પછી થોડા દિવસ પૂર્વે જ અહીં નવો રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારે આજે સવારે ડ્રેનેજ પ્રોજેક્ટ અથવા પાલિકાના અન્ય કોઈ વિભાગ દ્વારા નવીન બનાવાયેલો રોડ પર પુનઃ તોડી અહીં ડ્રેનેજની સમસ્યા નિવારવાના હેતુસર કામગીરી હાથ ધરી છે. જેથી પાલિકાના પાણી પુરવઠા અને ડ્રેનેજ વિભાગ વચ્ચે આંતરિક સંકલનનો અભાવ હોવાનો આક્ષેપ કરતા સામાજિક કાર્યકર્તાએ આ એક મોટો ભ્રષ્ટાચાર હોવાનું જણાવ્યું હતું. સાથે નાગરિકો દ્વારા થયેલી વારંવાર ફરિયાદ બાદ ત્રણવાર ખાડા ખોદી રીપેરીંગ બાદ બનેલા નવીન રસ્તા પછી આજે ચોથીવાર ખાડા ખોદવામાં આવતા લોકોએ ભરેલા ટેક્સના પૈસાનો પાલિકા તંત્ર દૂરઉપયોગ કરતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.



