મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ‘ફુલ સ્ટોપ’, 5% ક્વૉટા સંબંધિત તમામ જૂના ઓર્ડર રદ | muslims will not get reservation in maharashtra cm fadnavis abolished 5 percent reservation

![]()
Muslim Reservation Canceled In Maharashtra: મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે મુસ્લિમ અનામત અંગે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યના સામાજિક ન્યાય વિભાગે 17 ફેબ્રુઆરી 2026ના રોજ એક નવો GR (Government Resolution) જારી કરીને મુસ્લિમ સમુદાયને મળતા 5% ક્વૉટા સંબંધિત જૂના તમામ ઓર્ડર અને પરિપત્રને સત્તાવાર રીતે રદ કરી દીધા છે. હવે આ શ્રેણીના વિદ્યાર્થીઓને કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં 5% ક્વૉટા નહીં મળશે અને ન તો આ શ્રેણીમાં નવા જાતિ પ્રમાણપત્રો કે માન્યતા પ્રમાણપત્રો જારી કરવામાં આવશે.
અગાઉ જારી કરાયેલા તમામ આદેશો અને પરિપત્રોને પણ અમાન્ય જાહેર કરી દેવામાં આવ્યા છે. 2014નો આ અનામત વટહુકમ (Ordinance) લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ કાયદાના અભાવે અને કોર્ટના સ્ટેને કારણે વર્ષો સુધી કાનૂની અનિશ્ચિતતામાં ફસાયેલો રહ્યો. સરકારે હવે તેને સંપૂર્ણપણે ખતમ કરી દીધો છે.
મુસ્લિમોમાં શિક્ષણ છોડવાનો દર સૌથી વધુ
ફડણવીસ સરકારના આ નિર્ણય પર AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ‘સરકારે રમઝાનની ભેટ આપતા મુસ્લિમોનું 5% શૈક્ષણિક અનામત ખતમ કરી દીધુ છે. હાઈકોર્ટે સ્વીકાર્યું હતું કે મુસ્લિમોમાં શિક્ષણ છોડવાનો દર સૌથી વધુ છે, છતાં અમે અમારા છોકરાઓ અને છોકરીઓને કહીશું કે તમે શિક્ષણ ન છોડો. પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા.’ આમ આ નિર્ણયના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર અનામતનો મુદ્દો ગરમાયો છે અને વિપક્ષ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
સરકારના GR પ્રમાણે કોઈ પણ સંસ્થામાં આ શ્રેણી હેઠળ એડમિશન આપવામાં આવશે નહીં અને આ શ્રેણી સંબંધિત કોઈપણ પેન્ડિંગ પ્રક્રિયાને પણ આગળ વધારવામાં આવશે નહીં. આ મામલો સંપૂર્ણપણે બંધ ઘોષિત કરી દેવામાં આવ્યો છે.
લઘુમતી વિભાગના નાયબ સચિવનું ટ્રાન્સફર
આ વચ્ચે લઘુમતી વિભાગના નાયબ સચિવ મિલિંદ શેનૉયની બદલી કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી એ મોટા વિવાદ બાદ થઈ છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે, 28 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2026ની વચ્ચે 75થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને રેકોર્ડ સમયમાં લઘુમતીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવારના મૃત્યુ પછી ઘણી ફાઈલો પર ડિજિટલ હસ્તાક્ષરો રેકોર્ડ કરવામાં આવ્યા હોવાની શંકા પણ ઉભી થઈ છે. રાજ્યના શોક સમયગાળામાં આ ઝડપી મંજૂરીઓ કેવી રીતે થઈ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તમામ 75 મંજૂરીઓ અટકાવી દીધી છે અને ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. આમાં પોદાર ઈન્ટરનેશનલની 25 શાળાઓ સહિત અનેક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સામેલ છે.
આ નિર્ણય બાદ કોંગ્રેસ નેતા પ્રો. વર્ષા એકનાથ ગાયકવાડે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે સરકારના આ નિર્ણયને મુસ્લિમ સમુદાય માટે મોટો ઝટકો ગણાવતા કહ્યું કે સરકારે અગાઉના તમામ GR રદ કરીને અનામત પ્રક્રિયાનો અંત લાવી દીધો છે. તેમણે પૂછ્યું કે, ‘જ્યારે હાઈકોર્ટે શિક્ષણમાં 5% અનામતને મંજૂરી આપી હતી, તો સરકારે તેને લાગુ કેમ ન કર્યું? ‘સબકા સાથ, સબકા વિકાસ’ ના નારાને સમર્થન આપતી સરકાર પછાત વર્ગોના અધિકારો કેમ ખતમ કરી રહી છે?’
મુસ્લિમ અનામત પર ફડણવીસ સરકારનો ‘ફુલ સ્ટોપ’
તમને જણાવી દઈએ કે, વર્ષ 2014માં તત્કાલીન કોંગ્રેસ-NCP સરકાર દ્વારા વટહુકમ (Ordinance) મારફતે મુસ્લિમોને શિક્ષણ અને નોકરીમાં 5% અનામત આપવાનો નિર્ણય લેવાયો હતો. હવે સરકારે આ અંગેના તમામ જૂના ઓર્ડર રદ કરી દીધા છે.
મહારાષ્ટ્રમાં ફરી એક વાર અનામતનો મુદ્દો ગરમાયો
આમ સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્રમાં ફરી એક વાર અનામતનો મુદ્દો ગરમાયો છે અને તેને ફરી એક વાર રાજકારણ અને સામાજિક ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.



