કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની તબિયત લથડી, હૃદયની નળીમાં 90 ટકા બ્લોકેજ | ahmedabad mla imran khedawala hospitalized heart blockage

![]()
Imran Khedawala : અમદાવાદની ખાડિયા-જમાલપુર બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને હૃદય સંબંધી તકલીફ થતાં શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગત રાત્રે અચાનક છાતીમાં દુખાવો થતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન તેમના હૃદયની એક નળીમાં 90 ટકા જેટલું ગંભીર બ્લોકેજ હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે.
નેતાઓ પહોંચ્યા હોસ્પિટલ
ઇમરાન ખેડાવાલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળતા કોંગ્રેસનાં આગેવાનો પણ હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યુંહોવાથી મોટા ભાગનાં ધારાસભ્યો ગાંધીનગરમાં હાજર છે. તેવામા કોંગ્રેસી ધારાસભ્યો પણ ઇમરાન ખેડાવાલાના ખબરઅંતર પુછવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
શું બની ઘટના?
મળતી માહિતી મુજબ, ધારાસભ્ય ખેડાવાલા ગત રાત્રે પોતાના ઘરે હતા. ત્યારે અચાનક તેમને છાતીમાં ભારે દબાણ અને અસહ્ય દુખાવો અનુભવાયો હતો. મોડી રાત્રે જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. કાર્ડિયોલોજિસ્ટ્સની ટીમ દ્વારા તાત્કાલિક તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું કે, હૃદયની મુખ્ય નળીઓ પૈકીની એકમાં 90 ટકા બ્લોકેજ છે. હાલ તેમની તબિયત સ્થિર છે, પરંતુ ડોક્ટરોની ટીમ તેમના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખી રહી છે. આગામી દિવસોમાં બ્લોકેજ દૂર કરવા માટે સ્ટેન્ટ મૂકવો કે કેમ, તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.
લઘુમતી સમુદાયના લોકપ્રિય નેતા
જો કે ઇમરાન ખેડાવાલા અમદાવાદ પૂર્વનાં લઘુમતી સમુદાયનાં ખુબ જ લોકપ્રિય નેતા પૈકીનાં એક છે. જેથી તેમનું સ્વાસ્થય લથડતા મોડી રાતથી જ લોકો હોસ્પિટલ તેમના ખબર અંતર પુછવા માટે પહોંચવા લાગ્યા હતા. જેથી હોસ્પિટલની બહાર ભારે ભીડ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં જ્યારે કોરોના મહામારી ચરમસીમાએ હતી, ત્યારે ઇમરાન ખેડાવાલા પોતે કોરોના સંક્રમિત થયા હતા. તે સમયે મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ જ તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે સ્વસ્થ થતાની સાથે જ તેઓ લોકોની સેવામાં લાગી ગયા હતા.
સમર્થકોમાં ચિંતાનો માહોલ
ઇમરાન ખેડાવાલાના બીમારીના સમાચાર મળતા જ તેમના મતવિસ્તારના લોકો અને કોંગ્રેસના કાર્યકરોમાં ચિંતા ફેલાઈ છે. અનેક રાજકીય નેતાઓએ હોસ્પિટલની મુલાકાત લીધી છે અથવા ટેલિફોનિક સંપર્ક કરીને તેમના ખબર-અંતર પૂછ્યા છે. હોસ્પિટલ પ્રશાસન મુજબ, તેમને થોડા દિવસો આરામ કરવાની અને ખોરાકમાં કડક પરેજી રાખવાની સલાહ આપવામાં આવી છે.


