AI આધારિત વિવિધ મોડલનું નિરીક્ષણ કરતા પીએમ નરેન્દ્ર મોદી | PM Narendra Modi inspecting various AI based models

![]()
– એઆઇ ઇમ્પેક્ટ સમિટ 2026: જિઓ ઇન્ટેલિજન્સ પેવેલીયનમાં
– એઆઈ ટેકનોલોજી ડિજિટલ પરિવર્તન ઝડપથી આગળ ધપાવવામાં મદદ કરશે : આકાશ અંબાણી
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જિયો ઈન્ટેલિજન્સ પેવેલિયનની મુલાકાત લીધી હતી. ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ ૨૦૨૬ દરમિયાન બનાવવામાં આવેલા પેવેલિયનમાં તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત વિવિધ મોડલ અને ટેકનોલોજી સોલ્યુશન્સનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને જિયો એઆઈ સ્ટેક, જિયો સંસ્કૃતિ એઆઈ, જિયો આરોગ્ય એઆઈ, જિયો શિક્ષા અને જિયો એઆઈ હોમ જેવા પ્લેટફોર્મના લાઈવ ડેમો જોયા હતા. આ તમામ પ્લેટફોર્મનો હેતુ ઉદ્યોગોમાં સ્માર્ટ ડેટા અને ઇન્ટેલિજન્સમાં વધારો, ભારતીય ભાષાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું, આરોગ્ય સેવાઓ સુધારવી, શિક્ષણને મજબૂત બનાવવું અને એઆઈ આધારિત સ્માર્ટ જીવનને શક્ય બનાવવું છે.
રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમીટેડના ચેરમેન આકાશ અંબાણીએ પીએમને જિયોના સમગ્ર એઆઈ ઇકોસિસ્ટમ વિશે માહિતી આપી હતી. તેમણે સમજાવ્યું કે આ ટેકનોલોજી વિવિધ ક્ષેત્રોમાં ડિજિટલ પરિવર્તન ઝડપથી આગળ ધપાવવામાં મદદ કરશે.
કંપનીએ પોતાના એઆઈ ફોર ઓલના વિઝન પર ભાર મૂક્યો હતો. કંપનીનું કહેવું છે કે આધુનિક ટેકનોલોજી દરેક વ્યક્તિ સુધી સરળતાથી અને સમાન રીતે પહોંચે તે જરૂરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ અગાઉ પણ જણાવ્યું છે કે ટેકનોલોજીનું સાચું મૂલ્ય ત્યારે છે, જ્યારે તે સમાજના દરેક વ્યક્તિને લાભ આપે.
આ સમિટમાં ભારત તેમજ વિશ્વભરના મોટા ટેકનોલોજી નિષ્ણાતો, નવીનતા લાવનારાઓ અને નીતિ નિર્માતાઓ એકત્ર થયા છે. પીએમ મોદીની જિયો પેવેલિયનની મુલાકાત એ દર્શાવે છે કે ભારતનો પ્રાઈવેટ સેક્ટર હવે દેશના એઆઈ ભવિષ્યને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.



