રાજસ્થાનના અલવરમાં કેમિકલ ફેક્ટરીમાં પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ, 7 શ્રમિકોના મોત | 7 Dead in Massive Fire at Closed Factory in Alwar Rajasthan Explosions Reported

![]()
7 Dead in Massive Fire at Closed Factory in Alwar Rajasthan : રાજસ્થાનના અલવર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. ખુશખેડા ઔદ્યોગિક ક્ષેત્રમાં આવેલી એક ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત લોકોના જીવતા ભુંજાઈ જવાથી કરૂણ મોત નિપજ્યા છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને અંદર કામ કરી રહેલા લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.
જાણો સમગ્ર ઘટના
રાજસ્થાનના અલવર જિલ્લાના ખુશખેડા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સોમવારે સવારે 10 વાગ્યાની આસપાસ આ કરૂણ ઘટના બની હતી. પ્લોટ નંબર G-1, 118માં આવેલી આ ફેક્ટરી છેલ્લા ઘણા મહિનાઓથી બંધ પડી હતી. અચાનક ફેક્ટરીમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું અને જોતજોતામાં આખી ફેક્ટરી આગની લપેટમાં આવી ગઈ. આ દુર્ઘટનામાં 7 લોકો જીવતા સળગી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ધડાકાથી ધ્રુજી ઉઠ્યો વિસ્તાર
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ લાગ્યા બાદ ફેક્ટરીની અંદર 3 થી 4 વાર જોરદાર ધડાકા થયા હતા. આ ધડાકા એટલા પ્રચંડ હતા કે તેનો અવાજ દૂર-દૂર સુધી સાંભળવા મળ્યો હતો. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફેક્ટરીની અંદર રાખવામાં આવેલા ગેસ સિલિન્ડરો ફાટવાને કારણે આ ધડાકા થયા હોઈ શકે છે.
બચાવ કામગીરી અને તંત્ર દોડતું થયું
આગની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની અડધો ડઝનથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફેક્ટરીમાં મોટી માત્રામાં પૂંઠાનો સ્ટોક હોવાથી આગને કાબૂમાં લેતા ફાયર ફાઈટરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સાવચેતીના ભાગરૂપે આસપાસની ફેક્ટરીઓ ખાલી કરાવવામાં આવી હતી અને વીજ પુરવઠો કાપી નાખવામાં આવ્યો હતો. ભિવાડી પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
તંત્રએ તપાસના આદેશ કર્યા
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અંદર પડેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આ હોનારત સર્જાઈ હોવાનું અનુમાન છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે કે જ્યારે ફેક્ટરી બંધ હતી ત્યારે અંદર આટલા લોકો શું કામ કરી રહ્યા હતા અને વિસ્ફોટ પાછળનું અસલી કારણ શું છે.



