PHOTO: જૂનાગઢ શિવરાત્રી મેળામાં ‘બાલસ્વરૂપ નાગા સાધુ’ અને ‘કબૂતરવાળા બાપુ’ આકર્ષણનું કેન્દ્ર | Junagadh Shivratri Mela Photos: Balswaroop Naga Sadhu and Kabootarwale Bapu Go Viral

Junagadh Mahashivratri Mela: જૂનાગઢ ગિરનારની ગોદમાં આવેલી ભવનાથ તળેટી અત્યારે હર હર મહાદેવના નાદ અને સાધુ-સંતોના ધૂણાની ધૂમ્રશેરોથી મંગલમય બની છે. મહાશિવરાત્રિના મેળાના ચોથા દિવસે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે, જેમાં સાધુઓની અનોખી દુનિયાના દૃશ્યો શ્રદ્ધાળુઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.

બાલસ્વરૂપ નાગા સાધુ
મેળામાં આ વખતે સૌથી વધુ આકર્ષણ બાલસ્વરૂપ નાગા સાધુઓ જમાવી રહ્યા છે. તેમને નિહાળીને ભક્તોના મુખેથી સહજ રીતે જ ‘આજ તો હમારે દ્વાર બાલ જોગી આયો’ના ભજનની પંક્તિઓ સરી પડે છે. નાની ઉંમરે સંસાર ત્યાગીને શિવભક્તિમાં લીન થયેલા આ બાલ જોગીઓને જોવા લોકોની ભીડ જામી રહી છે.

કબૂતર સાથેના બાબા મેળામાં આકર્ષણરૂપ
પ્રયાગરાજના મહાકુંભમાં જે સાધુ પોતાની જટામાં કબૂતર રાખીને ફરતા હોવાથી ચર્ચામાં આવ્યા હતા, તેઓ અત્યારે ભવનાથના મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પ્રકૃતિ અને પક્ષી પ્રત્યેનો તેમનો આ અનોખો પ્રેમ જોઈ યાત્રિકો કુતૂહલવશ તેમની મુલાકાત લઈ રહ્યા છે.

તંત્ર સામે સંતોનો રોષ
મેળાની રોનક વચ્ચે વ્યવસ્થાના નામે ઉદાસીનતા પણ જોવા મળી છે. તંત્ર દ્વારા સાધુ-સંતો માટે પીવાના પાણી અને ધૂણાની પૂરતી વ્યવસ્થાના દાવાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે, અનેક સાધુઓએ પાણી જેવી પ્રાથમિક સુવિધા ન મળતા રોષ વ્યક્ત કર્યો છે. મંડપ અને ધૂણા માટે યોગ્ય જગ્યા કે વ્યવસ્થા ન મળતાં સાધુઓ તંત્રની કામગીરી સામે નારાજ જોવા મળ્યા હતા.


