સુરેન્દ્રનગરમાં ‘સર’માં ગેરરીતિના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જિલ્લાના હાઈવે પર ચક્કાજામ | Congress blocks highway in Surendranagar to protest irregularities in ‘Sar’

![]()
– પોલીસ પૂર્વનિર્ધારિત ચક્કાજામના કાર્યક્રમને રોકવામાં નિષ્ફળ : કોંગ્રેસ સફળ
– હાઇવે પર ચક્કાજામથી વાહનો થંભી ગયા : ભાજપ પર મતદાર યાદીમાંથી નામ કમી કરવાના આક્ષેપ સાથે વિરોધ કરતા 100 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત
સુરેન્દ્રનગર,લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી : સુરેન્દ્રનગર જિલ્લાની પાંચ વિધાનસભામાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન ફોર્મ નંબર ૭ (નામ કમી કરવા માટે)નો ઉપયોગ કરી અંદાજે ૨૪,૦૦૦ જેટલા મતદારોના નામો ખોટી રીતે કમી કરવા ફોર્મ ભરનાર જવાબદારો વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની માંગ સાથે આજે કોંગ્રેસ મેદાને ઉતરી હતી. જિલ્લાના મુખ્ય માર્ગો અને નેશનલ હાઈવે પર કોંગ્રેસી કાર્યકરોએ ટાયરો અને લાકડા સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. સુરેન્દ્રનગર પોલીસ કોંગ્રેસના આ પૂર્વનિર્ધારિત ચક્કાજામના કાર્યક્રમને રોકવામાં નિષ્ફળ નીવડી હોય તેમ જણાતું હતું, કારણ કે કાર્યકરોએ કલાકો સુધી રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે જિલ્લાભરમાંથી ૧૦૦થી વધુ કાર્યકરો અને અગ્રણીઓની અટકાયત કરી તેમને નજરકેદ કર્યા હતા.
જિલ્લામાં મતદારોના નામો ખોટી રીતે કમી કરવાનાર સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે કરવા ૧૩મી ફેબુ્રઆરી સુધીમાં જવાબદાર તત્વો સામે ગુનો દાખલ કરવાનું અલ્ટીમેટમ અપ્યું હતું. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા, ચીમકી બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીના નેજા હેઠળ જિલ્લાના શુક્રવારના રોજ અનેક હાઇવે પર ચક્કાજામ કર્યું હતું.
જેમાં સુરેન્દ્રનગર શહેરમાં કોંગ્રેસી આગેવાનોએ વઢવાણમાં સુરેન્દ્રનગર-લીંબડી હાઇવે પર શિયાણીની પોળ પાસે ચક્કાજામ કર્યું હતું. પોલીસે કાર્યકરોને સમજાવવા ના પ્રયાસો કરી ભારે રકજક બાદ હાઇવે પર વાહનવ્યવહાર શરૂ કરાવ્યો હતો.
સાડા તાલુકામાં કોંગ્રેસી કાર્યકરોએ બહુચરાજી- સાડા હાઈવે, જૈનાબા હાઇવે (ચોકડી) અને અમદાવાદ -માલવણ-ધ્રાંગધ્રા પર ચક્કાજામ કરતા લગભગ બે કિલોમીટર સુધી ટ્રાફિકજામના સર્જાયો હતા. તેમજ ઝાડી-ઝાંખરા અને ટાયરો સળગાવીને વિરોધ કર્યો હતો. આ રમિયાન, સાડા પોલીસે કોંગ્રેસના અનેક કાર્યકરોને ડિટેન કર્યા હતા.
ચોટીલા-રાજકોટ હાઇવે પર પણ મુળી, સાયલા, થાન અને ચોટીલા શહેરના કોંગ્રેસી આગેવાનોએ ચક્કાજામ કર્યો હતો. જેના પગલે ટ્રાફિકથી ધમધમતા હાઇવે પર વિરોધ પ્રદર્શનના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. અનેક બસો રસ્તા પર ઉભી રાખી દેવામાં આવી હતી. તેમજ લખતર-અમદાવાદ હાઇવે પર મોઢવાણા ગામ પાસે કોંગ્રેસી આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડીના દેવપરાના પાટીયા પાસે કોગ્રેસના કાર્યકરોએ હાઈવે ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. લીંબડી પોલીસ તથાં પાણશીણા પોલીસ કાફલો હાઈવે દોડી આવ્યો હતો. પોલીસેએ કોંગ્રેસના કાર્યકરોને સમજાવવા ના પ્રયાસો કરી ભારે રકજક બાદ હાઇવે પર વાહનવ્યવહાર શરૂ કરાવ્યો હતો.
ધ્રાંગધ્રાના ફુલેશ્વર ચોકમાં ધ્રાંગધ્રા અને હળવદ તાલુકા કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરો દ્વારા રસ્તો રોકો આંદોલન હાથ ધરી રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. રસ્તા પર ચક્કાજામને પગલે પી.આઈ., પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર આવી પહોચ્યો હતો અને ચક્કાજામ કરી રહેલ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા અને ટ્રાફિકજામને હળવો કરી વાહન વ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
ચૂંટણી પંચ ભાજપના કાર્યકર તરીકે કામ કરે છેઃ નૌશાદ સોલંકી
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ‘ચૂંટણી પંચ નિષ્પક્ષ રહેવાને બદલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામગીરી કરી રહ્યું છે. હજારો મતદારોના નામો જાણીજોઈને કમી કરવાનું કાવતરું રચાયું છે.’ તેમણે ચેતવણી આપી હતી કે જો ખોટી અરજી કરનારા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

