જયરાજ આહીર ફરી આવ્યો વિવાદમાં, પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં, કલેક્ટરે આપ્યા તપાસના આદેશ | Jayraj Ahir and his friends enter with bus at bhavnath mela in junagadh

![]()
Junagadh News: માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ આહીર ફરી વિવાદમાં આવ્યો છે. જયરાજ તેના મિત્રો સાથે પ્રતિબંધ હોવા છતાં બસ લઈને ભવનાથના મેળામાં પહોંચતા જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલે તપાસના આદેશ કર્યા છે.
જયરાજ આહીર પ્રતિબંધ છતાં બસ લઈને પહોંચ્યો ભવનાથના મેળામાં
જૂનાગઢના ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવના મંદિર પર પરંપરાગત ધ્વજારોહણ સાથે પાંચ દિવસીય મેળાનો વિધિવત પ્રારંભ કરાયો છે. લાખો શ્રદ્ધાળુઓના આસ્થાના કેન્દ્ર સમાન આ મેળામાં ભાવિકોની ભીડ ઉમટી રહી છે, ત્યારે આ વર્ષે VVIP કલ્ચરને સ્થાન આપવામાં આવ્યું નથી. તેવામાં લાખો ભાવિકો કિલોમીટરો સુધી પગપાળા ચાલીને દર્શનાર્થે જઈ રહ્યા છે. જોકે, જયરાજ આહીર તેના મિત્રો સાથે પ્રતિબંધ છતાં ખાનગી બસ લઈને ભવનાથ મેળામાં પહોંચ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
સમગ્ર મામલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે, ખાનગી બસ કયા સંજોગોમાં અને કોની મંજૂરીથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશી તેને લઈને ઝીણવટથી તપાસ કરાશે. તેમજ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, મેળામાં ટ્રાફિક સહિતની સમસ્યા ન સર્જાયા તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કોઈપણ ખાનગી વાહન કે બાઈકને મેળાના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.



