राष्ट्रीय

આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત | indian army agniveer recruitment 2026 age limit relaxation apply online



Army Agniveer Vacancy 2026: ભારતીય સેનામાં જોડાઈને દેશસેવા કરવા માંગતા યુવાનો માટે ખુશખબર છે. ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2026 માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા આજથી જ એટલે કે 13 ફેબ્રુઆરી, 2026થી શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને 1 એપ્રિલ, 2026 સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ભરતીની લેખિત પરીક્ષાનું આયોજન 1 જૂનથી 15 જૂન 2026 દરમિયાન કરવામાં આવશે. 

વય મર્યાદામાં મોટો ફેરફાર

આ વર્ષની ભરતીમાં સૌથી મોટો ફેરફાર વય મર્યાદામાં કરાયો છે. સોશિયલ મીડિયા પર ચાલેલા લાંબા આંદોલન બાદ સરકારે મહત્તમ વય મર્યાદામાં 1 વર્ષની છૂટ આપી છે, જેના કારણે હવે સાડા 17થી 22 વર્ષ સુધીના યુવાનો અરજી કરી શકશે.

અગ્નિવીરના વિવિધ પદો માટે ઉંમરની મર્યાદા નીચે મુજબ નક્કી કરાઈ છે.  

– અગ્નિવીર GD, ટેકનિકલ, ક્લર્ક, ટ્રેડ્સમેન): 17.5થી 22 વર્ષ. (જન્મ: 1 જુલાઈ, 2005થી 1 જુલાઈ, 2009 વચ્ચે).

– સોલ્જર ટેકનિકલ(NA): 17.5થી 23 વર્ષ. (જન્મ: 1 જુલાઈ, 2004થી 1 જુલાઈ, 2009 વચ્ચે).

– સિપાહી ફાર્મા: 19થી 25 વર્ષ. (જન્મ: 1 જુલાઈ, 2002થી 1 જુલાઈ, 2008 વચ્ચે).

એકથી વધુ કેટેગરીમાં અરજી

ઉમેદવારો તેમની લાયકાત મુજબ રેગ્યુલર એન્ટ્રી સિવાય બે અલગ-અલગ અગ્નિવીર કેટેગરી માટે ફોર્મ ભરી શકે છે.

– આ માટે અલગ-અલગ ફોર્મ ભરવા પડશે અને બે લેખિત પરીક્ષા આપવી પડશે. શારીરિક કસોટી અને મેડિકલ ટેસ્ટ એક જ વાર આપવાનો રહેશે.

– અરજી કરતી વખતે જ તમારે કઈ કેટેગરીને પહેલી પસંદગી આપવી છે તે જણાવવું પડશે.

ટ્રેડ્સમેન માટે પસંદગી (Preference) ફરજિયાત

જો તમે 8મું કે 10મું પાસ ટ્રેડ્સમેન તરીકે ફોર્મ ભરો છો, તો તમારે કયા કામ(Trade)માં જોડાવું છે તેની પસંદગી જાતે કરવી પડશે.

– 10મું પાસ: વધુમાં વધુ 9 ટ્રેડ પસંદ કરી શકશો.

– 8મું પાસ: 2 ટ્રેડ પસંદ કરી શકશો.

ખાસ નોંધ: જો તમે ટ્રેડની પસંદગી નહીં કરો, તો મેરિટમાં નામ હોવા છતાં તમારી પસંદગી કરવામાં આવશે નહીં. તેથી પ્રાધાન્ય(Priority) આપવી ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો: SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

શૈક્ષણિક લાયકાત

અગ્નિવીર જનરલ ડ્યુટી(GD): 10મું પાસ (કુલ 45% માર્ક્સ અને દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% હોવા જરૂરી). જેમની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ(LMV) હશે તેમને ડ્રાઇવરની ભરતીમાં પ્રાધાન્ય મળશે.

અગ્નિવીર ટેકનિકલ: 12મું પાસ(ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઇંગ્લિશ સાથે કુલ 50% માર્ક્સ જરૂરી).

અગ્નિવીર ક્લાર્ક/ સ્ટોરકીપર: કોઈપણ પ્રવાહમાં (આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ) 60% માર્ક્સ સાથે 12મું પાસ. દરેક વિષયમાં 50% માર્ક્સ હોવા જોઈએ. ઇંગ્લિશ અને ગણિત/એકાઉન્ટમાં 50% માર્ક્સ ફરજિયાત છે. આ પદ માટે ટાઈપિંગ ટેસ્ટ પણ આપવો પડશે.

અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું/8મું પાસ): માત્ર પાસ હોવું જરૂરી છે, પરંતુ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33% માર્ક્સ હોવા જોઈએ.

પરિણામની રાહ જોતા(Appearing) ઉમેદવારો

જો તમે આ વર્ષે 10માં કે 12માંની પરીક્ષા આપી હોય અથવા ITI કે NIOSમાં ભણતા હોવ અને પરિણામ આવવાનું બાકી હોય, તો પણ તમે અરજી કરી શકો છો. જોકે, ભરતીના બીજા તબક્કા વખતે તમારે ઓરિજિનલ માર્કશીટ બતાવવી પડશે.

શારીરિક યોગ્યતા(ઊંચાઈ અને છાતી)

GD, ટેકનિકલ અને ટ્રેડ્સમેન માટે: ઊંચાઈ ઓછામાં ઓછી 170 સે.મી. હોવી જોઈએ(કેટલાક રાજ્યોમાં છૂટછાટ મુજબ 163, 165 કે 169 સે.મી.). છાતી 77 સે.મી. અને ફૂલાવ્યા પછી 82 સે.મી. હોવી જરૂરી છે.

ક્લાર્ક અને સ્ટોરકીપર માટે: ઊંચાઈ ઓછામાં ઓછી 162 સે.મી. હોવી જોઈએ. છાતી 77 સે.મી. અને ફૂલાવ્યા પછી 82 સે.મી. હોવી જરૂરી છે.

શારીરિક કસોટી(Physical Test)

ફિઝિકલ ટેસ્ટને ચાર ગ્રૂપમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દોડ અને પુલ-અપ્સના માર્કસ નીચે મુજબ છે.

– ગ્રૂપ 1: 5 મિનિટ 30 સેકન્ડમાં 1.6 કિ.મી. દોડ (60 માર્કસ) + 10 પુલ-અપ્સ (40 માર્કસ).

– ગ્રૂપ 2: 5 મિનિટ 45 સેકન્ડમાં 1.6 કિ.મી. દોડ (48 માર્કસ) + 9 પુલ-અપ્સ (33 માર્કસ).

– ગ્રૂપ 3: 6 મિનિટમાં 1.6 કિ.મી. દોડ (36 માર્કસ) + 8 પુલ-અપ્સ (27 માર્કસ).

– ગ્રૂપ 4: 6 મિનિટ 15 સેકન્ડમાં 1.6 કિ.મી. દોડ (24 માર્કસ) + 7 પુલ-અપ્સ (21 માર્કસ) અથવા 6 પુલ-અપ્સ (16 માર્કસ).

– નોંધ: 9 ફૂટ લાંબી કૂદ અને ઝિગ-ઝેગ બેલેન્સ ટેસ્ટ માત્ર પાસ કરવાના રહેશે, તેના કોઈ અલગ માર્કસ નથી.

જરૂરી નિયમો અને ફી

– ઉમેદવાર જે રાજ્યની ભરતીમાં ભાગ લેવા માંગતો હોય, તે જ રાજ્યનો વતની હોવો જોઈએ.

– પરીક્ષા કેન્દ્ર: ફોર્મ ભરતી વખતે 5 પરીક્ષા કેન્દ્રોની પસંદગી આપવાની રહેશે.

– અરજી ફી: તમામ કેટેગરી(General/OBC/SC/ST) માટે 250 રૂપિયા ફી છે, જે ઓનલાઇન ભરી શકાશે.

આ પણ વાંચો: ‘રેરા બંધ જ કરી દેવો જોઈએ…’ રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પર કેમ ભડકી સુપ્રીમ?

સેવા અને સુવિધાઓ

– સેવાનો સમય: આ ભરતી 4 વર્ષ માટે છે. 4 વર્ષ બાદ 25% સૈનિકોને કાયમી કરવામાં આવશે, જ્યારે 75%ને છૂટા કરવામાં આવશે.

– વીમો: ટ્રેનિંગ દરમિયાન 48 લાખ રૂપિયાનો મેડિકલ ઇન્શ્યોરન્સ મળશે.

– રજાઓ: વર્ષમાં 30 દિવસની રજા મળશે. બીમારીની રજા ડૉક્ટરની સલાહ મુજબ અલગથી મળી શકે છે.

– અન્ય લાભ: સેનાની હોસ્પિટલ અને કેન્ટીન(CSD) સુવિધાનો લાભ મળશે, પરંતુ ગ્રેચ્યુઈટી મળવાપાત્ર નથી.

અગ્નિવીર તરીકે પસંદ થયેલા યુવાનોને પ્રથમ વર્ષે 30,000 રૂપિયા પગાર મળશે, જે ચોથા વર્ષ સુધી વધીને 40,000 રૂપિયા થઈ જશે. 4 વર્ષની સેવા પૂર્ણ થયા બાદ, ‘સેવાનિધિ પેકેજ’ હેઠળ વ્યાજ સહિત અંદાજે 11.71 લાખ રૂપિયાની રકમ અપાશે. નોંધનીય છે કે 4 વર્ષ બાદ 25% અગ્નિવીરોને કાયમી સૈનિક તરીકે નિયુક્ત કરાશે, જ્યારે બાકીના 75% સૈનિકોને મુક્ત કરવામાં આવશે. અરજી ફી તમામ કેટેગરી માટે 250 રૂપિયા રાખવામાં આવી છે.


આર્મીમાં જોડાવા માગતા યુવાઓ માટે ગુડ ન્યૂઝ, અગ્નિવીર ભરતીની વયમર્યાદામાં મોટી રાહત 2 - image



Source link

Related Articles

Back to top button