બાંગ્લાદેશમાં તારિક રહેમાનની વાપસી કેમ ભારત માટે ગુડ ન્યૂઝ? 5 પોઈન્ટમાં સમજો, PM મોદીએ આપી શુભેચ્છા | bangladesh election results tarique rahman bnp india relations analysis

![]()
Bangladesh Elections Tarique Rehman Victory : બાંગ્લાદેશની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ચુક્યાં છે. જેમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)નું સૌથી મોટા પક્ષ તરીકે ઉભરવું અને જમાત-એ-ઇસ્લામીનું બહુમતીથી દૂર રહેવું એ દક્ષિણ એશિયાના રાજકારણમાં એક મહત્વપૂર્ણ વળાંક છે. અવામી લીગની ગેરહાજરીમાં આ ચૂંટણી સંપૂર્ણપણે નવી રાજકીય વ્યવસ્થા લઈને આવી છે. પૂર્વ પીએમ ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન નવા વડાપ્રધાન બનશે.
વર્તમાન ભૌગોલિક-રાજકીય (Geo-political) અને આર્થિક પરિસ્થિતિઓને જોતા, આ પરિણામ ભારત માટે પ્રતિકૂળ હોવાને બદલે સંતુલિત તકો પૂરી પાડનારું માનવામાં આવી રહ્યું છે. ભારત પણ તારિક રહેમાનની આગેવાની હેઠળ રચનારી નવી સરકાર સાથે કામ કરવા તૈયાર છે.
PM મોદીએ શુભકામના પાઠવી
પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પરિણામો સ્પષ્ટ થતાની સાથે જ અભિનંદન સંદેશ મોકલ્યો છે. તેમણે તારિક રહેમાનને અભિનંદન પાઠવતા કહ્યું કે, “બાંગ્લાદેશની જનતાએ તારિક રહેમાનના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારત એક લોકતાંત્રિક, પ્રગતિશીલ અને સર્વસમાવેશક બાંગ્લાદેશની સાથે હંમેશા ઉભું રહેશે. હું તમારી સાથે મળીને આપણા બહુપરિમાણીય સંબંધોને મજબૂત કરવા અને આપણા સહિયારા વિકાસલક્ષી લક્ષ્યોને આગળ વધારવા માટે આતુર છું.”
1. જમાતને બહુમતી ન મળી: સુરક્ષા અને વ્યૂહાત્મક દ્રષ્ટિએ રાહત
BNPની અગાઉની સરકારો દરમિયાન ભારતનો અનુભવ બહુ સુખદ રહ્યો નથી, તેમ છતાં કોઈપણ સ્થિતિમાં તારિક રહેમાનની પાર્ટી જમાત-એ-ઇસ્લામી કરતા વધુ સારી સાબિત થશે. જમાત-એ-ઇસ્લામીનો વૈચારિક ઝુકાવ લાંબા સમયથી પાકિસ્તાન તરફી રાજકારણ અને ઇસ્લામી કટ્ટરપંથી વિચારસરણીની નજીક રહ્યો છે. જો તેને સ્પષ્ટ બહુમતી મળી હોત, તો ભારતના પૂર્વોત્તર રાજ્યોની સરહદો પર અસ્થિરતા, કટ્ટરપંથી નેટવર્કની સક્રિયતા અને ઘૂસણખોરી જેવી ચિંતાઓ પેદા થવાની શક્યતા હતી.
જો કે જમાતે આ ચૂંટણીમાં ભારત પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે, પરંતુ ભૂતકાળમાં તે હંમેશા ભારત વિરોધી લાગણીઓને ભડકાવનારું રહ્યું છે. બહુમતીથી દૂર રહેવું એ સંકેત આપે છે કે બાંગ્લાદેશની સત્તા સંપૂર્ણપણે વૈચારિક ધ્રુવીકરણની દિશામાં ગઈ નથી.
આ પણ વાંચો : 55 લાખની લોન અરજી પર અરજદારની સહી જ બોગસ, અમદાવાદની આ બેન્કનું વધુ એક કૌભાંડ
2. આર્થિક સંકટ મુખ્ય પડકાર: ભારતની ભૂમિકા મહત્વની
બાંગ્લાદેશની વર્તમાન આર્થિક સ્થિતિ દબાણ હેઠળ છે. વિદેશી હૂંડિયામણ ભંડારમાં ઘટાડો અને મોંઘવારી જેવા પડકારો સામે છે. આવી સ્થિતિમાં BNP સરકારની પ્રાથમિકતા અર્થતંત્રને સ્થિર કરવાની રહેશે. ઉર્જા સહયોગ, પેટ્રોલિયમ પાઇપલાઇન, રેલ અને રોડ કનેક્ટિવિટી જેવા અનેક પ્રોજેક્ટ્સ બંને દેશોને જોડે છે. ભારતીય કંપનીઓનું ત્યાં કુલ રોકાણ લગભગ પાંચ અબજ ડોલર છે. નવી સરકાર માટે આ પ્રોજેક્ટ્સ ચાલુ રાખવા એ વ્યાવહારિક જરૂરિયાત હશે.
૩. ભારત તરફથી અગાઉથી જ સંપર્ક સુધારવાની પહેલ
નવી દિલ્હીએ છેલ્લા ઘણા મહિનાઓમાં સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે, તે શેખ હસીનાની પાર્ટી અવામી લીગથી આગળ વધવા તૈયાર છે. ડિપ્લોમેટિક સ્તરે BNP નેતૃત્વ સાથે વાતચીતના માર્ગો ખુલ્લા રાખવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકર ખાલિદા ઝિયાના અવસાન બાદ ઢાકા ગયા હતા અને ભારતીય સંસદે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ વ્યૂહાત્મક તૈયારીનો લાભ હવે મળી શકે તેમ છે.
4. પરસ્પર નિર્ભરતા અને પ્રાદેશિક જોડાણ
ભારત અને બાંગ્લાદેશના સંબંધો માત્ર રાજકીય નથી, પરંતુ માળખાકીય રીતે જોડાયેલા છે. પૂર્વોત્તર ભારતના જોડાણમાં બાંગ્લાદેશની ભૂમિકા નિર્ણાયક છે. BNP માટે આ પ્રોજેક્ટ્સ રોકવા આર્થિક રીતે નુકસાનકારક રહેશે. તેનાથી ઉલટું, તેને આગળ વધારવાથી તેમની સ્થાનિક સ્તરે વિકાસલક્ષી છબી મજબૂત થશે.
5. બદલાતી વૈશ્વિક વ્યવસ્થા: વ્યૂહાત્મક સંતુલનની જરૂરિયાત
ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્પર્ધા તેજ છે અને ચીનની સક્રિયતા વધી રહી છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશનો કોઇ એક તરફી ઝુકાવ જોખમી બની શકે છે. ભારત, જે પ્રાદેશિક સ્થિરતામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, તે બાંગ્લાદેશ માટે એક કુદરતી વ્યૂહાત્મક ભાગીદાર બની રહેશે.
ચૂંટણી પરિણામો ભારત માટે સંપૂર્ણ સંતોષનું કારણ નથી, પરંતુ ગંભીર ચિંતાનો સંકેત પણ નથી. જમાત બહુમતીથી દૂર છે અને બીએનપીનું વલણ વ્યાવહારિક દેખાય છે. જોકે, અવામી લીગની ગેરહાજરીમાં જમાત એક મજબૂત વિરોધ પક્ષ તરીકે ઉભરી છે. જે ભવિષ્યમાં ભારત વિરોધી લાગણીઓ જગાવી શકે છે. તેથી, ભારતને રાજકીય ધૈર્ય અને સતર્કતા સાથે ‘નેબરહુડ ફર્સ્ટ’ નીતિને આગળ વધારવી પડશે.



