સ્વામી દયાનંદે કુરિવાજો દૂર કરી વેદોનાં માધ્યમથી ઉન્નતિનો માર્ગ દર્શાવ્યો | Swami Dayanand removed the customs and showed the path of progress through the Vedas

![]()
રાજકોટના આંગણે અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનો શુભારંભ : સ્વતંત્ર ભારતની લડતની ચેતના જગાવવામાં પણ સ્વામી દયાનંદ સરસ્વતીનો સિંહફાળો રહ્યો છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.નાં આંગણે આજરોજ ગુજરાત રાજય સંસ્કૃત બોર્ડના સહયોગથી રાષ્ટ્રનિર્માણ કે પુરોધા : મહર્ષિ દયાનંદ સરસ્વતી વિષયક અખિલ ભારતીય સંસ્કૃત સમારોહના પ્રારંભે ગુજરાત રાજયના રાજયપાલ આચાર્ય દેવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં થયો હતો. સમારોહનાં ઉદઘાટન સત્રમાં રાજયપાલે મનનીય ઉદ્બોધનમાં સ્વામી દયાનંદ સરસ્વતીના જન દર્શન વિશે રોચક વિગતો રજૂ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીએ એ સમયે સમાજમાંથી અંદશ્રધ્ધા અને કુરીવાજોને દૂર કરી વેદોના માધ્યમથી સમાજને પ્રગતિ અને ઉન્નતિનો માર્ગ બતાવ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિ. કેમ્પસ ઉપર આવેલા કાનજી ભુટા રંગમંચ ખાતે આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીના જીવનના વિવિધ પાસાઓનું દર્શન વિદ્યાર્થીઓને કરાવવાના હેતુથી બે દિવસના અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાં ઉદઘાટન બાદ અધ્યક્ષીય પ્રવચનમાં રાજયના વિદ્વાન રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે આધુનિક યુગમાં સ્વામી દયાનંદ સરસ્વતીનાં વિચારો અને કાર્યોથી આજની પેઢી અવગત થાય તે ખુબ જ જરૂરી છે. રાજકોટ નજીક ટંકારામાં જેમનું જન્મસ્થાન છે આજે યોગાનુયોગ તેમની જન્મતિથિ છે. એવા સ્વામી દયાનંદ સરસ્વતી આધુનિક ભારતના મહાન સમાજ સુધારક વૈદીક, દર્શનિક, શિક્ષાવિદ અને રાષ્ટ્રચિંતક હતાં. બચપણથી જ સત્યની ખોજમાં તેઓએ ઘર છોડયું.
સંન્યાસ ગ્રહણ કર્યો. દેશના અનેક ભાગોમાં ફરીને વિદવાનો સાથે શાસ્ત્રાર્થ કર્યો. મથુરામાં સ્વામી વીરજાનંદ પાસે દિક્ષા લીધી. ગુરૂદક્ષિણા સ્વરૂપે સમાજમાંથી કુરીવાજો, અંધશ્રધ્ધા, પાખંડ દૂર કરવાનો નિર્ણય લીધા બાદ વેદ આધારિત ઉન્નતિનો માર્ગ તેઓએ સમાજને બતાવ્યો. ૧૮૭૫ માં મુંબઈમાં તેઓએ આર્યસમાજની સ્થાપના કરી વૈદીક સંસ્કૃતિને પ્રતિષ્ઠિત કરવા માટે તેઓએ પુસ્તકો લખ્યા જેમાં સત્યાર્થ પ્રકાશ પુસ્તક ધર્મ, સમાજ, શિક્ષણ અને રાજનીતિના વિષયમાં સુધારાવાદી વિચારો માટે જાણીતી થયુ. ૧૮૭૬ માં સર્વપ્રથમ સ્વરાજય એ જન્મસિધ્ધ અધિકાર છે. તેમ દર્શાવી તેઓએ આઝાદીની લડતની રા,્ટ્રીય ચેતના જગાવવામાં પણ મહત્વનો ફાળો આપ્યો હતો.
ઉદઘાટન સત્રમાં ઉપસ્થિત શ્રીમદ દયાનંદ કન્યા ગુરૂકૂળ મહાવિદ્યાલય ચોટીપુરા ઉતરપ્રદેશના આચાર્ય ડો. સુમેધાજીએ પણ સ્વામી દયાનંદ સરસ્વતીજીના કન્યા કેળવણી અને મહિલા જાગૃતિના વિચારોને રસપ્રદ રીતે રજૂ કર્યા હતાં. આઝાદીની લડત દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીની જે ભુમિકા રહી હતી તેને પણ તેઓએ રસપ્રદ શૈલીમાં વર્ણવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ડો. ઉત્પલ જોશીએ મહર્ષિ દયાનંદ સરસ્વતી સંશોધન કેન્દ્ર યુનિ. ખાતે સ્થાપવામાં આવનાર હોવાનું જાહેર કર્યું હતું.
સંસ્કૃત સમારોહમાં વૈદિક સમયકાળની ચિકિત્સાનું રોચક દર્શન આંખના મોતિયા બિંદુનાં ઓપરેશન માટે ઓજાર હોવાનો પણ ઉલ્લેખ; આયુર્વેદ શિક્ષણનો આધારસ્તંભ હતું આચાર્ય સુશ્રૂતના સમયમાં સર્જરી થતી ઓપરેશન માટેનાં 100થી વધુ યંત્રો હતાં
રાજકોટ, : વૈદીક સમયકાળમાં આયુર્વેદનું વિશિષ્ટ મહત્વ હતું. આજથી અઢી હજાર વર્ષ પહેલાં ભારતીય ચિકિત્સા પધ્ધતિ સૌથી વધુ આધુનિક હતી. આચાર્ય સુશ્રૂતના સમયકાળમાં હાડકાને જોડવાના યંત્ર સહિત સર્જરીના જૂદા – જૂદા 100 યંત્રો હોવાના પ્રમાણનો ઉલ્લેખ આજ રોજ અહીં સૌરાષ્ટ્ર યુનિ.ના ખાતે આયોજિત અખિલ ભારતીય સંસ્કૃત સમારોહમાં ઉત્તરપ્રદેશના ચોટીપુરાના શ્રીમદ્દ દયાનંદ કન્યા ગુરૂકૂળના સંસ્થાપક ડો. સુમંધાજી દ્વારા કરવામાં આવ્યો હતો.
સ્વામી દયાનંદ સરસ્વતીનાં શિક્ષણ વિષયક વિચારોમાં વૈદીક જીવન દર્શનની અનિવાર્યતા વિશે ડો. સુમંધાજીએ રસપ્રદ ઉદ્દબોધન દ્વારા ભારતીય ચિકિત્સા શાસ્ત્ર વિશે રોચક વિગતો રજૂ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે યુરોપમાં ૧૮૨૭માં સૌ પ્રથમ મોતીયાનું ઓપરેશન થયું હોવાનું જાણવા મળે છે. ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં અઢી હજાર વર્ષ પહેલાં મોતિયા બિંદુના ઓપરેશનના ઓજાર હોવાનું જાણવા મળે છે. આચાર્ય સુશ્રૂતના સમયકાળમાં 100થી વધુ યંત્રો ઓપરેશન માટે કામ આપતા હતા. હાડકા જોડવા માટેનું પણ વિશિષ્ટ યંત્ર હોવાનો ઉલ્લેખ છે. આયુર્વેદ અને ધમુર્વેદએ બન્ને શિક્ષણના મુખ્ય આધાર સ્તંભ હતા. વૈદીક શિક્ષણ પધ્ધતિ થકી વ્યક્તિમાં સદાચારનો ગુણ કંઇ રીતે વિકસે તેને પ્રાધાન્ય અપાતું હતું. ગુરૂકૂળની શિક્ષા પધ્ધતિએ ભારતીય સંસ્કૃતિ આધારીત શિક્ષણ પધ્ધતિ છે. જેમાં શારીરિક, બૌધ્ધિક, આત્મિક, નૈતિક અને વ્યક્તિનો સામાજિક રીતે વિકાસ થાય છે. તેમ જણાવી તેઓએ સંવેદના વગરનાં શિક્ષણનો વ્યાપ ઉતરોતર વધતો જતો હોવાથી માનવ યંત્ર બની રહ્યો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.



