બાંગ્લાદેશની ચૂંટણીમાં કટ્ટર રાજકીય પક્ષ જમાતે ઇસ્લામી મેદાન મારશે ? દુનિયાની આખીની નજર | Will hardline Jamaat e Islami contest Bangladesh elections The world is watching

ઢાકા,૧૦ ફેબુ્આરી,૨૦૨૬,મંગળવાર
બાંગ્લાદેશમાં ૧૨ ફેબુ્આરીએ યોજાનારી ઐતિહાસિક ચૂંટણી પર દુનિયા ભરની નજર મંડાયેલી છે. ભારતમાં શરણ લઇ રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજકીય પક્ષ અવામી લીગને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આથી શેખ હસીનાના પક્ષના કાર્યકરો ચુંટણીમાં કયાં પક્ષને મત આપશે તે મહત્વનું છે. ખાસ કરીને લઘુમતિ હિંદુ મતદારો અવામી લીગને પસંદ કરતા હતા તેમના માટે હવે મુંઝવણ પેદા થઇ છે. સ્વ ખાલિદા ઝીયાના પુત્ર રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) અને જમાતે ઇસ્લામી વચ્ચે મુખ્ય મુકાબલો છે.
જમાતે ઇસ્લામી કટ્ટરવાદી લોકોની જમાત છે જેને બાંગ્લાદેશ મુકિતની લડાઇમાં પાકિસ્તાનનો પક્ષ લીધો હતો. આઝાદી પછી બાંગ્લાદેશના રાજકારણમાં પોતાનું મહત્વ પૂરવાર કરવા પ્રયાસ કરે છે પરંતુ એકલા હાથે સફળતા હાથ લાગતી નથી. ૨૦૦૧માં બાંગ્લાદેશ નેશનિસ્ટ પાર્ટી (બીએનપી)ની સાથે મળીને સરકાર બનાવી હતી. જમાતે ઇસ્લામી અને બીએનપીએ ૧૯૯૧,૨૦૦૧,૨૦૦૮ અને ૨૦૧૮માં સાથે મળીને ચૂંટણી લડી હતી. જમાતે ઇસ્લામીને તેના રાજકીય ઇતિહાસમાં આજ સુધી મોટી કામયાબી મળી નથી.
૧૯૯૬માં એકલા હાથે ચુંટણી લડી જેમાં માત્ર ૩ બેઠકો મળી હતી. ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીના સરકારના પતન પછી જમાતે ઇસ્લામીએ અવામી લીગ પાર્ટીની ગેર હાજરીનો લાભ લઇને પોતાની રાજકીય પરિસ્થિતિ મજબૂત કરવા ઇચ્છે છે. અંતિમ સરકારના મુખિયા મોહમ્મદ યુનુસ જમાતે ઇસ્લામીને ખાનગી રાહે સંરક્ષણ આપી રહયા છે. એક ખાનગી અહેવાલ મુજબ જમાતે ઇસ્લામીને બહારની શકિતઓ તરફથી પણ સહાનુંભૂતિ મળી રહી છે. બાંગ્લાદેશની સંસદીય ચૂંટણી ઇસ્લામિક વિચારધારા વર્સિસ લોકતાંત્રિક વિચારધારામાં વહેંચાઇ ગઇ છે.

જમાતે ઇસ્લામીની ગ્રાઉન્ડ લેવલ પર ખાસનો ગ્રામીણ વિસ્તારોમાં પક્કડ દેખાય છે. જમાતે ઇસ્લામીનું બુથ લેવલ પર પ્રથમવાર મજબૂત પ્લાનિંગ જોવા મળે છે. ખાસ કરીને યુવા વર્ગને વધારે ટાર્ગેટ કરી રહી છે. સ્થાનિક મતદારો પર જમાતે ઇસ્લામિક સ્ટુડન્ટ વિંગ પ્રચાર કરતી જોવા મળે છે. ૨૦૧૬ની ચુંટણીમાં એક નવા પ્રકારનું પોલરાઇઝેશન અને વોટિંગ પેટર્ન દેખાય છે. શેખ હસીના સરકારના પતન પછી અંતરિમ સરકારની મદદથી એનસીપી પાર્ટીની રચના થઇ હતી. આ પાર્ટી બાંગ્લાદેશમાં પોતાનો પ્રભાવ પેદા કરવામાં નિષ્ફળ રહી છે. આ પાર્ટીને વિધાર્થી નેતાઓએ બનાવી હતી જે કયાંકને કયાંક જમાતે ઇસ્લામીની જ નજીક જણાય છે.
એક સમયે એનસીપી વિશે માનવામાં આવતું હતું કે તે બાંગ્લાદેશના ૩૦ થી ૩૫ ટકા યુવા મતદારો પર પ્રભાવ ધરાવે છે પરંતુ બદલતી જતી રાજકિય પરિસ્થિતિમાં આશા ધૂંધળી લાગે છે. જમા તે ઇસ્લામી કે બીજી કોઇ પાર્ટીની પોલિટિકલ ટૂલ જેવી લાગે છે ઉપરથી મળતા બીજાના આદેશ મુજબ કામ કરી રહી છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે જમાતે ઇસ્લામી એકલી સરકાર બનાવી શકે તેવી શકયતા ઓછી છે તેમ છતાં તે કિંગ મેકર બની શકે છે. અવામી લીગના કાર્યકર્તાઓનું સમર્થન મળે તો ૩૫ જેટલી બેઠકો જીતી શકે છે જયારે વધુમાં વધુ ૭૫ થી ૮૦ જેટલી બેઠકોથી વધારે નહી.


