બાંગ્લાદેશમાં ચૂંટણી ટાણે ક્રૂરતા : હથિયારના ઘા ઝીંકી વધુ એક હિન્દુ વેપારીની હત્યા | Hindu Businessman Fatally Attacked in Bangladesh 48 Hours Before Polls Minority Safety Concerns

![]()
Hindu Merchant Killed in Bangladesh : બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, લૂંટ અને હત્યાની ઘટનાઓ સામાન્ય બની ગઈ હોય તેમ વધુ એક હિન્દુની હત્યા કરવામાં આવી છે. દેશમાં 12મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે, જોકે તે પહેલા મૈમનસિંહ જિલ્લાના ત્રિશાલ તાલુકામાં હથિયારધારી તત્ત્વોએ દૂકાનમાં ઘૂસી એક હિન્દુ વેપારીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધા છે. મૃતકના પુત્રએ આક્ષેપ કર્યો છે કે, હુમલાખોરો દુકાનમાંથી લાખોનું બાંગ્લાદેશી ચલણ લૂંટી ગયા છે.
વેપારીને હથિયાર ઝિંકી દુકાનમાં જ બંધ કરીને નાસી ગયા
બાંગ્લાદેશી મીડિયા આઉટલેટ આઈટીવીએ મૃતકના પરિવાર અને પોલીસને ટાંકીને કહ્યું છે કે, ‘હુમલાખોરો ત્રિશાલ તાલુકાના બોગર માર્કેટમાં હોબાળો કરતા આવ્યા હતા. આ દરમિયાન તેઓએ હિન્દી વેપારીની દુકાનમાં ઘુસ્યા હતા અને તેમને ધારદાર હથિયારો ઝિંકીને હત્યા કરી દીધી હતી. હુમલાખોરોએ ક્રુરતાની હદ વટાવીને ઈજાગ્રસ્ત દુકાનદારને દુકાનમાં જ બંધ કરીને નાસી ગયા હતા. મૃતક 62 વર્ષના સુશેન ચંદ્ર સરકાર હોવાનું સામે આવ્યું છે.’
અમારે કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મની નથી : મૃતકના પુત્રની વેદના
રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, ‘હથિયારધારી તત્વો નાસી ગયા બાદ પરિવારજનો તુરંત દુકાનમાં દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ સુશેનને ખૂનથી લથપથ હાલતમાં જોયો હતો અને તાત્કાલીક તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું મોત થયું હતું. મૃતકના પુત્ર સુજાન સરકારે વેદના ઠાલતા કહ્યું કે, કહ્યું કે, ‘અમારે કોઈ પણ વ્યક્તિ સાથે દુશ્મની નથી, છતાં મારા પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. બદમાશો દુકાનમાંથી લાખો રૂપિયા લૂંટી ગયા છે. અમે ઘણા સમયથી ચોખાનો વેપાર કરી છે. હત્યરાઓને કડકમાં કડક સજા થવી જોઈએ.’
પોલીસે શું કહ્યું ?
પોલીસે કહ્યું કે, ‘લગભગ રાત્રે 11.00 કલાકે હથિયારધારી બદમાશો દુકામાં ઘૂસી ગયા હતા અને સુશેનની હત્યા કરી હતી, પછી તેઓએ દુકાનનું શટર બંધ કરી દીધું હતું. જ્યારે પરિવાર સુશાનને શોધવા ગયો ત્યારે તેઓ ખૂનથી લથપથલ હાલતમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ પણ દોડી આવી હતી. હાલ આ મામલે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.’
યુનુસ સરકારના રાજમાં હિન્દુઓ વિરુદ્ધની હિંસામાં વધારો
બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરી 2026ના રોજ ચૂંટણી યોજાવાની છે, પરંતુ તે પહેલા હિન્દુઓ વિરુદ્ધની હિંસામાં કોઈ ઘટાડો થયો નથી. બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણીના માત્ર 48 કલાક પહેલા જ વધુ એક હિન્દુ વેપારીની હત્યા કરી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની અંતરિમ સરકાર સત્તા પર આવી ત્યારથી જ હિન્દુઓ સહિતના લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં વધારો થયો છે, જેના કારણે વિશ્વભરના લોકો અને અનેક માનવાધિકાર સંગઠનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


