અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી | Plotter of attack on Ayodhya Ram temple was killed in jail Rohit Godara gang took responsibility

Terror suspect Abdul Rehman Murder: હરિયાણાની ફરીદાબાદ જેલમાં બંધ અયોધ્યા રામ મંદિર પર કથિત રીતે હુમલાનું કાવતરું ઘડનાર અબ્દુલ રહેમાનની હત્યા કરી દેવામાં આવી છે. 19 વર્ષીય અબ્દુલ રહેમાન પર આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ હતો. માર્ચ 2025માં હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) અને ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોડ (ATS)એ તેની ધરપકડ કરી હતી. રવિવારે રાત્રે 8:00 વાગ્યે ફરીદાબાદ જિલ્લા જેલમાં અબ્દુલ રહેમાન પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે સાથી કેદી અરુણ ચૌધરીએ તેના માથા પર તીક્ષ્ણ વસ્તુ કે પથ્થરથી ગંભીર પ્રહાર કર્યો હતો. હુમલા બાદ અબ્દુલ રહેમાનને સારવાર માટે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કેસમાં નવો વળાંક આવ્યો છે. રોહિત ગોદારા ગેંગ તરફથી ફરીદાબાદ જેલમાં અબ્દુલ રહેમાનની હત્યા પર એક પોસ્ટ સામે આવી છે.
રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી
સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા રોહિત ગોદારા ગેંગના સભ્ય મહેન્દ્ર ડેલાનાએ હત્યાના આરોપી અરુણ ચૌધરીનું સમર્થન વ્યક્ત કર્યું છે. ડેલાનાએ લખ્યું કે, જે પણ દેશની વિરુદ્ધ જશે તેનો આ જ અંજામ આવશે. તેની ધરપકડ દરમિયાન સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) એ અબ્દુલ રહેમાન પાસેથી બે હેન્ડ ગ્રેનેડ રિકવર કર્યા હતા. અબ્દુલ રહેમાનનો કથિત રીતે ISI સાથે સબંધ હોવોની માહિતી મળી હતી. અબ્દુલ રહેમાન અયોધ્યાના ઈનાયત નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી હતો. બે દિવસ પહેલા જ તેનો પરિવાર તેની સાથે મુલાકાત કરીને અયોધ્યા પરત ફર્યો હતો. તપાસ એજન્સીઓએ અબ્દુલ રહેમાન પર રામ મંદિર સંકુલ પર ગ્રેનેડ હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો.

જે દેશની વિરુદ્ધ જશે તેનો આ જ અંજામ આવશે
મહેન્દ્ર ડેલાનાએ પોસ્ટમાં લખ્યું કે, ‘રામ રામ ભાઈઓ હું મહેન્દ્ર ડેલાના (રોહિત ગોદારા ગ્રુપ). ભાઈઓ કાલે રાત્રે ફરીદાબાદ જેલમાં અબ્દુલ રહેમાનની હત્યા કરી દેવામાં આવી, જે એક આતંકવાદી હતો અને રામ મંદિર પર હુમલો કરવાની પ્લાનિંગમાં સામેલ હતો. જ્યારે તેની ફરીદાબાદમાં ધરપકડ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી 2 ગ્રેનેડ મળ્યા હતા અને તે દેશ વિરુદ્ધ અનેક આતંતવાદી પ્રવૃતિઓમાં સામેલ હતો. ભાઈ અરુણ ચૌધરીએ તેને તેના અંજામ સુધી પહોંચાડ્યો, અને તેનો દિલથી આભાર માનીએ છીએ. જે પણ અમારા દેશની વિરુદ્ધ જશે તેનો આ જ અંજામ આવશે. ભાઈ અરુણ ચૌધરીને અમે દિલથી સલામ કરીએ છીએ.’
પરિવારનો એક માત્ર વારસદાર
બીજી તરફ જેલમાંથી ફોન આવ્યા બાદ અબ્દુલ રહેમાનનો પરિવાર ફરીદાબાદ જવા રવાના થઈ ગયો હતો. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. અબ્દુલ રહેમાનની 2 માર્ચ, 2025ના રોજ હરિયાણાના પાલી ગામ નજીક બે હેન્ડ ગ્રેનેડ સાથે ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસે રામ મંદિર સંબંધિત વિગતો ધરાવતા વીડિયો પણ મળી આવ્યા હતા. અબ્દુલ રહેમાન તેના પરિવારનો એકમાત્ર વારસદાર હતો.


