‘FIR નોંધીને ધરપકડ કરો..’, PM મોદી સાથે ‘અપ્રિય ઘટના’ની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ | Budget session congress mp rahul gandhi says prime minister was scared

![]()
Budget Session: સંસદના બજેટ સત્રમાં સતત હંગામો જોવા મળી રહ્યો છે. આજે સવારે 11 વાગ્યે સંસદ શરુ થતાં જ ભારે ઉહાપોહ મચાવવામાં આવ્યો જે બાદ મંગળવાર સુધી સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી. આજે ફરી રાહુલ ગાંધી પૂર્વ સેના પ્રમુખ નરવણે પર બોલવા માંગતા હતા પણ તેમણે બજેટ પર જ બોલવા માટેની મંજૂરી આપવામાં ન આવતા વિપક્ષે ફરી સંસદમાં ભારે વિરોધ કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધીએ લોકસભા સ્પીકરની મુલાકાત કરી હતી અને વિવિધ મુદ્દા પર વિપક્ષનો પક્ષ રાખ્યો હતો.
રાહુલ ગાંધીએ સ્પીકર સામે ઉઠાવ્યા મુદ્દાઓ
સૂત્ર તરફથી એ પણ માહિતી મળી છે કે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ઇન્ડિ ગઠબંધનના નેતાઓ સાથે લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. જેમાં મુખ્યત્વે ત્રણ મુદ્દા ઉઠાવ્યા હતા, જેવા કે, રાષ્ટ્રપતિના અભિભાષણ પર વિપક્ષને બોલવાની જ મંજૂરી આપવામાં આવી નથી, બીજો મુદ્દો એ મૂક્યો કે સત્તા પક્ષ દ્વારા ઘણી વખત પુસ્તકને ટાંકીને વિપક્ષ પર આરોપો મૂકવામાં આવે છે, તો બીજી તરફ કેમ વિપક્ષ પુસ્તકની વાતને ટાંકીને સંસદમાં રજૂ કરે તો તેને મંજૂરી આપવામાં આવતી નથી, છેલ્લે રાહુલ ગાંધીએ આઠ સાંસદોને સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તે પર પણ પોતાનો પક્ષ મૂક્યો હતો, છેલ્લે PM મોદી પર લોકસભામાં અપ્રિય થવાની શક્યતા હતી તે વાતને નકારી કાઢી હતી અને સવાલ કર્યો હતો કે તો ફરિયાદ કેમ નોંધવામાં આવી નથી?
‘કેમ ફરિયાદ દાખલ ન કરાવી?’
રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ખૂબ જ પરેશાન છીએ કે એ ફેલાવવામાં આવી રહ્યું છે કે લોકસભા વિપક્ષી સભ્યો વડાપ્રધાનને ધમકાવવાના હતા. તેવો કોઈ સવાલ ઊભો જ થતો નથી, સત્ય સાફ છે, વડાપ્રધાન સંસદમાં આવવાથી ડરી રહ્યા છે. કેમ કે તેઓ સત્યનો સામનો કરી શકતા નથી. અમારા સભ્યો વડાપ્રધાન પર હુમલો કરે તેવો કોઈ સવાલ જ ન હતો. તેમનામાં આવવાની હિંમત હોવી જોઈએ. જો વડાપ્રધાન પર હુમલો થવાની શક્યતા હતી તો તાત્કાલિક FIR નોંધવી જોઈએ અને જવાબદારોની ધરપકડ થવી જોઈએ. તમે કેમ એવું કરી રહ્યા નથી?
PM મોદી સાથે અપ્રિય ઘટના થાય તેવી શક્યતા હતી: લોકસભા સ્પીકર
5 ફેબ્રુઆરીના રોજ ઓમ બિરલાએ કહ્યું હતું કે, હું ખૂબ દુખી થઈને કહી રહ્યો છું કે મારી ચેમ્બરમાં કેટલાક સદસ્યો જે વ્યવહાર કર્યો તેવું ભૂતકાળમાં ક્યારેય નથી થયું. વિપક્ષના સદસ્યોએ જે કર્યું તે કલંક સમાન છે. PM મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર જવાબ આપવાના હતા. તે પહેલા મારી પાસે જાણકારી આવી કે કોંગ્રેસના સાંસદો વડાપ્રધાન સાથે અપ્રિય ઘટના કરી શકે છે. જે બાદ મેં PM મોદીને આગ્રહ કર્યો કે તમે સદનમાં ન આવશો. હું PM મોદીનો આભારી છું કે તેમણે મારી વાત સ્વીકારી. જો PM મોદી લોકસભામાં આવ્યા હોત તો પરિસરમાં અપ્રિય ઘટના થઈ હોત.



