વિશ્વામિત્રીના 17 કિમી એરિયામાં મગરોની બે તબક્કામાં ગણતરી કરાઇઃ 10 વર્ષમાં બમણી વસ્તી થવાની શક્યતા | Crocodiles were counted in two phases in a 17 km area of Vishwamitri

વડોદરાઃ વડોદરાની વિશ્વામિત્રી નદીમાં ગઇકાલે મગરોની ગણતરી હાથ ધરવામાં આવી છે.જેમાં ૧૦૦થી વધુ લોકો સામેલ થયા હતા.
વિશ્વામિત્રી નદીમાં ફેબુ્રઆરી-૨૦૨૫માં પણ મગરોની ગણતરી કરવામાં આવી હતી અને વડોદરા શહેરમાંથી પસાર થતા નદીના વિસ્તારમાં ૪૪૨ જેટલા મગરો જણાઇ આવ્યા હતા.જ્યારે,૧૦વર્ષ પહેલાં વર્ષ-૨૦૧૫માં ઉપરોક્ત વિસ્તારમાં મગરોની ગણતરી કરવાાં આવી ત્યારે તેની સંખ્યા ૨૬૦ જેટલી થઇ હતી.જેથી નવા આંકડા આવશે તો મગરોની સંખ્યા લગભગ બમણી જેટલી થઇ જશે તેમ મનાય છે.
એમએસયુનિના ઝૂઓલોજી વિભાગ, ફોરેસ્ટ વિભાગ અને એનજીઓ દ્વારા ગઇકાલે રાત્રે અને આજે સવારે બે તબક્કામાં સર્વે કરવામાં આવ્યો હતો.જેમાં વેમાલીથી તલસટ સુધીના અંદાજે ૧૭ કિમી વિસ્તારને ૧૦ ઝોનમાં વહેંચીને મગરોના વસવાટવાળા સ્થળોએ ટીમો મૂકવામાં આવી હતી.
મગરોની ગણતરી વૈજ્ઞાાનિક ઢબે કરવામાં આવતી હોય છે.જેમાં રાત્રે સ્પોર્ટ લાઇટ વડે મગરોની આંખ પર પ્રકાશ નાંખી અને દિવસે તેમના રહેણાંકના સ્થળે સન બાથ લેવા બહાર આવતા હોવાથી તેમની લંબાઇ અને કદ પરથી ગણતરી કરવામાં આવતી હોય છે.
વડોદરાનાયાત્રાધામ નારેશ્વરના ઘાટ પર મગરે દેખા દેતાં ભક્તોમાં ગભરાટ
રેતી ખનન મગરો માટે પણ જોખમી, ઘોંઘાટથી નાસભાગ થતી હોય છે
વડોદરા શહેરમાં વિશ્વામિત્રીની સાથે સાથે હવે આસપાસની નદીઓમાં પણ મગરોનો વસવાટ જોવા મળી રહ્યો છે.
વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલા નારેશ્વર ગામે પણ નર્મદા નદીમાં મગર જોવા મળી રહ્યા હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા ચેતવણીના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. વળી,ઉપરોક્ત સ્થળે રેતીખનનનું પણ મોટેપાયે કામ ચાલી રહ્યું હોવાથી મગરો પર પણ જોખમ તોળાયું છે.
આજે સવારે નર્મદાના ઘાટ ઉપર મગરે દેખા દેતાં ભક્તજનો અને ગામ લોકો ભેગા થઈ ગયા હતા.મગરે કોઈ જળચર જીવનો શિકાર કર્યો હોય તેવા દ્શ્યો લોકોએ કેમેરામાં પણ કેદ કરી લીધા હતા.
એક વર્ષ પહેલાં મગરોની વસ્તી ક્યાં કેટલી હતી
વિસ્તાર મગરની સંખ્યા
અકોટા બ્રિજ થીદેણા ૨૨૦
કલાલી થી તલસટ ૭૭
અકોટાબ્રિજ થી મુજમહુડા ૫૫
વડસર બ્રિજ થી કલાલી ૪૮
મુજમહુડાથી વડસર ૪૨
કુલ ૪૪૨
શહેરમાં મગરોની મોટી સંખ્યા છતાં માનવી પર હુમલા કરતા નથી
શહેરમાં મગરોની ગણતરી કરવામાં આવે છે તે તલસટ થી કલાલી સુધીના વિસ્તારમાં મગરોની વસ્તી મોટી સંખ્યામાં હોવા છતાં નદીની બહાર નીકળીને માનવી પર હુમલો કરવામાં આવ્યા હોવાના બનાવ જવલ્લે જ જોવા મળ્યા છે.જેનો અર્થ મગરો વસ્તીવાળા વિસ્તારોમાં સામે ચાલીને હુમલા કરતા હોતા નથી તેમ કરી શકાય.



