गुजरात

જુથળ સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રીનું 2.09 કરોડનું કૌભાંડ | 2 09 crore scam of former Secratray of Juthal Seva Cooperative Society



મંડળીના પ્રમુખે મંત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી : ખેડૂતોને આપેલું ધિરાણ તેમજ વ્યાજની રકમ, ખાતરના પૈસા તેમજ થાપણ ચાઉં કરી લીધી

જૂનાગઢ, : માળિયા તાલુકાના જુથળની સેવા સહકારી મંડળીના પૂર્વ મંત્રીએ તેના કાર્યકાળ દરમ્યાન ખોટા પત્રક તથા રસીદ બનાવી યોગ્ય હિસાબ રાખ્યા ન હતા તેમજ ખોટા ધિરાણ જાણીજોઈને મંજુર કરી રાસાયણીક ખાતર વેંચી નાખી મંડળીની થાપણ ચાઉં કરી નાખી હતી. આ અંગેની તપાસ થતા મંડળીમાં કુલ ર.૦૯ કરોડનું કૌભાંડ કરી રકમ પોતાના અંગત ઉપયોગ માટે લઈ લીધી હોવાનો ખુલાસો થયો હતો. આ મામલે મંડળીના પ્રમુખે પૂર્વ મંત્રી સામે ફરિયાદ કરતા માળિયાહાટીના પોલીસે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

માળિયાહાટીના તાલુકાના જુથળમાં આવેલી સેવા સહકારી મંડળી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક સાથે સંયોજીત છે. તા. 9-5-2009 થી 14-4-2024 સુધી કેશોદ તાલુકાના કણેરીના કાંતિભાઈ નરશીભાઈ હિંગરાજીયા મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા. તેનો કોઈ સંપર્ક ન થતા તા.17-5-2024 થી અન્ય વ્યક્તિની મંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. ર૦૦૯થી ર૦ર૪ સુધી મંડળીના મંત્રી કાંતિ હિંગરાજીયાના કાર્યકાળ દરમ્યાન થયેલા વ્યવહારોના રોજમેળ, ખાતાવહી, પહોંચ બુક અંગેની તપાસ કરવામાં આવી હતી. આ માટે ચોક્કસી અધિકારી જે.એમ. જાડેજાની નિમણુંક થઈ હતી. આ તપાસ દરમ્યાન મંડળીના પૂર્વ મંત્રી કાંતિ હિંગરાજીયાએ મંડળીની હાથ ઉપરની રોકડ 40,000 જ દર્શાવી હતી. ખેડૂતો પાસેથી લોનની રકમના વસુલ થયેલા 59.42 લાખ બેંકમાં જમા કરવાના બદલે પોતે ચાઉં કરી લીધા હતા. આ ઉપરાંત 26.78  લાખનું ખાતર વેંચી નાખ્યું હતું. બાકીદાર ખેડૂતોના ધિરાણની વસુલાત બાકી હોવા છતાં નો ડયુ સર્ટીફિકેટ આપી કાર્યક્ષેત્ર બહારના 10 ખેડૂતોને ધિરાણ ચુકવી 34.97 લાખની નાણાં વસુલાત નિષ્ફળ બનાવી હતી. આમ, રજીસ્ટ્રરમાં ખોટા હિસાબો દર્શાવી 70.67 લાખની ગેરરીતિ આચરી હતી. મંડળીના ખેડૂત સભાસદો પાસેથી મેળવેલી થાપણ જમા લેવાને બદલે બારોબાર ઉપાડી  30.40 લાખ તેમજ જુથળ અને કેશોદ બેંકમાં બચત ખાતાઓમાં 13.26 લાખનો અપ્રમાણીક વ્યવહારો કર્યા હતા. તેમજ મંડળીમાંથી લોનના ઓથા હેઠળ 8.90 લાખ ઉપાડી લઈ વાપરી નાખ્યા હતા.

આમ, મંડળીના પૂર્વ મંત્રી કાંતિ હિંગરાજીયાએ પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી મંડળીમાં કુલ 2.09 કરોડનું કૌભાંડ આચર્યું હતું. આ મામલે મંડળીના પ્રમુખ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ દેવશીભાઈ કનેરીયાએ ફરિયાદ કરતા માળિયા પોલીસે પૂર્વ મંત્રી કાંતિ નરશી હિંગરાજીયા સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. 2009થી લઈ 2024 દરમ્યાન કાંતિ હિંગરાજીયાએ મંડળીના મંત્રી તરીકે રહ્યા હતા. આ દરમ્યાન આ કૌભાંડ થયાનું સામે આવ્યું છે તો આટલા સમય સુધી કેમ મંડળીના વ્યવહારો અંગેની તપાસ ન થઈ અને બેંક દ્વારા પોતાના ધિરાણ અંગે કેમ કોઈ ખુલાસા ન થાય ? તે અંગે અનેક સવાલો ઉઠયા છે.



Source link

Related Articles

Back to top button