છોટાઉદેપુર: સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત, તંત્રની મિલીભગતથી પચાવી પાડી લાખોની જમીન | Land Fraud in Chhota Udepur: Man Declares Brother “Unmarried” to Usurp Property

![]()
Land Fraud in Chhota Udepur: છોટાઉદેપુર જિલ્લાના સજોડ ગામે માનવતા અને કાયદાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. અહીં એક શખસે પોતાના સગા મૃતક ભાઈની જમીન હડપવા માટે માત્ર કૌટુંબિક વિશ્વાસઘાત જ નથી કર્યો, પરંતુ સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખીને આખું નકલી દસ્તાવેજી નેટવર્ક ઊભું કર્યું છે. પત્ની અને પુત્ર હયાત હોવા છતાં મૃતક ભાઈને ‘નિસંતાન અને અપરિણિત’ દર્શાવી સરકારી રેકોર્ડમાં છેતરપિંડી આચરવામાં આવી છે.
કેવી રીતે આચર્યું કૌભાંડ?
મળતી માહિતી અનુસાર, સજોડ ગામે મૃતક બલા છગન રાઠવાના ભાઈ સબૂર છગન રાઠવા પર આ ગંભીર આરોપ લાગ્યા છે. ભાઈના અવસાન બાદ જમીન મેળવવાની લાલચમાં સબૂરે પંચાયત અને મહેસૂલ વિભાગના નામે નકલી કાગળો તૈયાર કર્યા હતા.
સબૂર છગન રાઠવાએ મૃતક ભાઈને કાગળ પર અપરિણિત અને નિસંતાન જાહેર કર્યાં હતા. આ ઉપરાંત તલાટીની ખોટી સહી અને ગ્રામ પંચાયતના નકલી સિક્કાનો ઉપયોગ કર્યો હતો. પેઢીનામામાં સાક્ષીઓના ખોટા ફોટા અને બોગસ સહીઓ કરી સરકારી પ્રક્રિયાને ગેરમાર્ગે દોરી હતી. આ નકલી દસ્તાવેજોના આધારે 7/12 અને 8-A માં પણ પોતાના નામની એન્ટ્રી પડાવી દીધી હતી.
આ પણ વાંચો: થરાદ-સાંચોર હાઈવે પર બાઈક અને કાર વચ્ચે ભયંકર ટક્કર, પ્રસંગમાં જતા બે યુવકોના મોત
તલાટીનો દાવો કર્યો
આ મામલે જ્યારે સજોડ ગ્રામ પંચાયતના તલાટીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તલાટીએ સ્પષ્ટપણે સ્વીકાર્યું કે પંચાયતના રેકોર્ડ પર રજૂ થયેલા તમામ દસ્તાવેજો બોગસ છે. દસ્તાવેજોમાં કરવામાં આવેલી તલાટીની સહી પણ નકલી છે, જે સૂચવે છે કે આ કોઈ મોટા રેકેટનો ભાગ હોઈ શકે છે.
સિસ્ટમ સામે મોટા સવાલ
આ ઘટનાએ સરકારી કચેરીઓની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, નકલી સહી-સિક્કાવાળા કાગળો મહેસૂલ કચેરીમાં સ્વીકારાયા કેવી રીતે? વારસાઈ નોંધ કરતી વખતે હકદાર વારસદારોની ખરાઈ કેમ ન કરવામાં આવી? શું આ કૌભાંડમાં કચેરીના કોઈ કર્મચારીની મિલીભગત છે?
પીડિત પુત્રની ન્યાયની ગુહાર
મૃતકનો પુત્ર, જે કાગળ પર પોતાના પિતાનો વારસદાર જ રહ્યો નથી, તે આજે ન્યાય માટે દર-દર ભટકી રહ્યો છે. તેણે તમામ નકલી દસ્તાવેજો સાથે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. પીડિતની માંગ છે કે જમીન પરથી ખોટું નામ કમી કરવામાં આવે અને નકલી દસ્તાવેજ બનાવનાર કાકા તેમજ તેમાં મદદગાર અન્ય લોકો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જો કે, પ્રાંત અધિકારીએ આ મામલે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.



