પંજાબમાં આપ નેતા લક્કી ઓબેરોયની ગોળી મારી હત્યા | aap leader shot dead

![]()
(પીટીઆઇ) ચંડીગઢ,
તા. ૬
પંજાબનાં જલંધરમાં શુક્રવારે આમ આદમી પાર્ટીના એક નેતાની
ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આપ નેતા લક્કી ઓબેરોયને
મોડલ ટાઉનનાં ગુરુદ્વારા સાહિબની બહાર એક પછી એક અનેક ગોળીઓ મારવામાં આવી હતી.
એક નેતા પર ફાયરિંગની ઘટના પછી વિસ્તારમાં લોકો ડરી ગયા છે.
ઘટનાસ્થળે મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. પોલીસે કેસની તપાસ શરૃ કરી
દીધી છે અને આ ઘટના માટે જવાબદાર લોકોને પકડવાની પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવી
છે.
પ્રાથમિક તપાસ મુજબ ઓબેરોય ગુરુદ્વારાની બહાર પોતાની કાર
પાર્ક કરી રહ્યાં હતાં. તે સમયે દ્વિચક્રી વાહન પર આવેલા હુમલાખોરોએ તેમના પર
ગોળીઓ ચલાવવાનું શરૃ કરી દીધું હતું.
ઓબેરોયને પાંચ ગોળીઓ વાગી હતી. ત્યારબાદ તેમને એક પ્રાઇવેટ
હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જો કે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.
ધોળા દિવસે એક આપ નેતાની હત્યા પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
પંજાબ પોેલીસના ડીજીપીએ જણાવ્યું છે કે આ હત્યાની તપાસ
પ્રોફેશનલ અને સાઇન્ટિફિક રીતે તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવી ફૂટેજ ચેક
કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હત્યાનો આ કેસ વિદ્યાર્થી
રાજકારણ સાથે પણ જોડાયેલો હોઇ શકે છે. અમે આ દ્રષ્ટિકોણથી પણ તપાસ કરી રહ્યાં છે.
અત્યાર સુધી આ કેસમાં સંગઠિત ક્રાઇમનાં કોઇ પુરાવા મળ્યા નથી.
ઓપરેશન સિંદૂર પછી ગેરકાયદે શસ્ત્રોમાં ૪૦૦ ટકાની વૃદ્ધિ
જોવા મળી છે. આ ગેરકાયદે શસ્ત્રો પાકિસ્તાનથી લાવવામાં આવી રહ્યાં છે. આ તમામ
શસ્ત્રો ડ્રોનનાં માધ્યમથી લાવવામાં આવી રહ્યાં છે.


