राष्ट्रीय

નવી સરકાર રચાયાના બીજા જ દિવસે મણિપુરમાં માહોલ તંગ, કુકી સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ | Manipur violence one day after new government clashes between kuki community and police



વાઈરલ વીડિયો


Manipur Violence: મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનના એક વર્ષ બાદ નવી સરકાર રચાયાના બીજા જ દિવસે બબાલ શરૂ થઈ ચૂકી છે. આજે 5 ફેબ્રુઆરીના રોજ કુકી આદિવાસી વિસ્તારના ચુરાચંદપુર જિલ્લામાં વિરોધ પ્રદર્શન શરૂ થયું છે. કુકી સમાજ તરફથી બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રદર્શનકારી અને સુરક્ષાદળો વચ્ચે ઘર્ષણ થતાં પોલીસે કડક હાથે કામ લીધું હતું. જે બાદ પ્રદર્શનકારીઓએ પથ્થરમારો અને આગચંપી કરી હતી. 

અલગ કુકી વહીવટની માગ

આ પહેલા કુકી સંગઠનોએ પોતાના સમાજના ધારાસભ્યોને ચેતવણી આપી હતી કે સરકાર ગઠનની પ્રક્રિયાના ભાગ ન લે, નવા મુખ્યમંત્રી તરીકે યુમનામ ખેમચંદ સિંહએ શપથ લેતા જ ચુરાચંદપુર જિલ્લાના આદિવાસી સંગઠન જોઈન્ટ ફોરમ ઓફ સેવન દ્વારા શુક્રવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધી કુકી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં સંપૂર્ણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સંઠનોએ ફરી અલગ કુકી વહીવટની માગ મૂકી હતી. 

કુકી સમાજના ધારાસભ્યોને અપાયું હતું અલ્ટિમેટમ

સંગઠન તરફથી સૂચના આપવામાં આવી હતી કે જો કુકી સમાજનો કોઈ ધારાસભ્ય સંગઠનના નિર્ણયની અવગણના કરશે તો તે વ્યક્તિ હશે, એક તરફી લેવાયેલા નિર્ણયો માટે સંગઠન જવાબદાર રહેશે નહીં. કેટલાક કુકી ઉગ્રવાદી સંગઠનોએ સમાજના ધારાસભ્યોને સરકાર ગઠનની પ્રક્રિયામાં ભાગ ન લેવા પણ ફરમાન જાહેર કર્યું હતું. 

નાયબ મુખ્યમંત્રીનો વિરોધ

આ પહેલા બુધવારે રાત્રે કુકી સમાજનું પ્રભુત્વ ધરાવતા કાંગપોક્પી જિલ્લામાં લીમાખોંગ નજીક લોકોએ ટાયર સળગાવીને પ્રદર્શન કર્યું હતું. રસ્તા પર વાંસ મૂકીને નેમચા કિપગેનના ડેપ્યુટી સીએમ તરીકે શપથ ગ્રહણનો વિરોધ કરવામાં આવ્યો હતો. કુકી લિબરેશન આર્મીએ એક સ્પષ્ટ સૂચના આપી હતી કે ‘કોઈપણ કુકી પ્રતિનિધિ જે સરકારની રચનામાં ભાગ લેવાનો નિર્ણય લેશે તેને સમુદાય સાથે વિશ્વાસઘાત માનવામાં આવશે. જો આવા કોઈ નિર્ણયને કારણે કોઈ અનિચ્છનીય કે અપ્રિય ઘટના બને છે, તો તેની જવાબદારી તે જનપ્રતિનિધિઓની રહેશે.’

મણિપુર ઘટનાક્રમ: 2023થી 2026

વર્ષ 2023: હિંસાની શરુઆત

• 14 એપ્રિલ 2023: મણિપુર હાઇકોર્ટે રાજ્ય સરકારને મેતૈઈ સમુદાયને ‘અનુસૂચિત જનજાતિ'(ST)નો દરજ્જો આપવા અંગે વિચારણા કરવા નિર્દેશ આપ્યો. આ આદેશથી રાજ્યમાં વિવાદ શરુ થયો.

• 3 મે 2023: ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન મણિપુર (ATSUM) દ્વારા કાઢવામાં આવેલી રેલી બાદ ચુરાચંદપુર અને બિષ્ણુપુરમાં હિંસા ફાટી નીકળી. મેતૈઈ અને કુકી સમુદાયો વચ્ચે વંશીય સંઘર્ષ શરુ થયો.

• મે-ડિસેમ્બર 2023: રાજ્યમાં મોટા પાયે હિંસા, આગજની અને અથડામણો થઈ. હજારો લોકો વિસ્થાપિત થયા અને આર્મી તથા અર્ધલશ્કરી દળોની તૈનાતી કરવામાં આવી.

વર્ષ 2024: રાજકીય અસ્થિરતા અને વધતી હિંસા

• વર્ષ 2024 દરમિયાન: હિંસા અટકાવવા માટે એન. બિરેન સિંહ સરકાર પર દબાણ વધ્યું. વિપક્ષો અને કેટલાક સાથી પક્ષોએ પણ રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા.

• નવેમ્બર 2024: જિરીબામ જિલ્લામાં ફરી હિંસા ભભૂકી ઉઠી, જેમાં અનેક લોકોના મોત થયા. સ્થિતિ વધુ વણસતા કેન્દ્રીય દળોની સંખ્યા વધારવામાં આવી.

વર્ષ 2025: બિરેન સિંહનું રાજીનામું અને રાષ્ટ્રપતિ શાસન

• 9 ફેબ્રુઆરી 2025: વંશીય સંઘર્ષ અને કાયદો-વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળતાના આરોપો વચ્ચે એન. બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.

• 13 ફેબ્રુઆરી 2025: રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જતાં કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ 356 હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું અને વિધાનસભાને મોકૂફ (Suspended Animation) રાખવામાં આવી.

• 13 ઑગસ્ટ 2025: રાષ્ટ્રપતિ શાસનના પ્રથમ 6 મહિના પૂર્ણ થતાં સંસદમાં ઠરાવ પસાર કરીને તેને વધુ 6 મહિના (13 ફેબ્રુઆરી 2026 સુધી) લંબાવવામાં આવ્યું.

• સપ્ટેમ્બર 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની મુલાકાત લીધી અને શાંતિ માટે અપીલ કરી.

વર્ષ 2026: લોકશાહી સરકારની પુનઃસ્થાપના

• 2 ફેબ્રુઆરી 2026: મણિપુરના ભાજપ અને NDA ધારાસભ્યોની દિલ્હીમાં હાઇકમાન્ડ સાથે બેઠક યોજાઈ.

• 3 ફેબ્રુઆરી 2026: ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં યુમનામ ખેમચંદ સિંહને નવા નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.

• 4 ફેબ્રુઆરી 2026: સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવામાં આવ્યું. ખેમચંદ સિંહે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

• 4 ફેબ્રુઆરી 2026: યુમનામ ખેમચંદ સિંહ મણિપુરના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.



Source link

Related Articles

Back to top button