અમદાવાદનો એસ.જી.હાઈવે બનશે આઈકોનિક રોડ, કોમનવેલ્થ ગેમ્સ 2030ની તૈયારીઓ શરૂ | Ahmedabad SG Highway from Sanathal to Gandhinagar will become an iconic road

![]()
SG Highway Iconic Road: આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અમદાવાદ મહાનગરમાં યોજાવવા માટે જઈ રહી છે ત્યારે અમદાવાદની ઓળખ સમાન એસ.જી હાઈવેને આઈકોનિક રોડ બનાવવામાં આવશે. આજે AMCની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન થયું હતું, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સનાથલ થી ગાંધીનગર સુધી આઈકોનિક રોડ
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જણાવ્યા મુજબ, ‘પહેલા સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના જી-7 સર્કલ સુધીનો રોડ ડેવલોપ કરવા માટેનો લગભગ 30 કિમીનો રોડ છે, જેને એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ જે રીતે આઈકોનિક રોડ બનાવવામાં આવ્યો એવી જ રીતે સનાથલથી ગાંધીનગર સુધીનો એસ.જી હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ગુડા, ગાંધીનગર મહાનગરપાલિકાએ માટે આજના તાકીદના કામની અંદર યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા ડેવલોપ કરવામાં આવશે અને કન્સલટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. પરિણામે આવનારા સમયગાળા દરમિયાન લેન્ડસ્કેપિંગ તદઉપરાંત વાત કરીએ તો ગઝીબો, ઈસ્કોનથી પકવાન સુધીનો રોડ ડેવલોપ કરવામાં આવ્યો એવો નવતર 30 કિમીનો રોડ એસ.જી હાઈવે બ્યુટિફિકેશન સાથે તૈયાર થશે.’
એસ.જી. હાઈવે માટે બ્લુપ્રિન્ટ તૈયાર
અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના વિકાસ માટે નવી કંપનીની રચના અમદાવાદના સનાથલ સર્કલથી ગાંધીનગરના ‘જ’ સર્કલ સુધીના એસ.જી. હાઈવેના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રિંગ રોડ અને અન્ય મેજર પ્રોજેક્ટ્સના સંકલન માટે ‘ગુજરાત અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ’ (GUIDCL) ની સ્થાપના કરવામાં આવી છે. આ કંપની હાઈવેની આસપાસના શહેરી વિકાસ અને આધુનિક માળખાગત સુવિધાઓ પર દેખરેખ રાખશે.
આધુનિક ગાર્ડનિંગ અને બ્યુટીફિકેશન
નિષ્ણાતોની ટીમ અને ‘નો કોસ્ટ બેઝિસ’ પર કામગીરી હાઈવેના સુંદરતા અને ડિઝાઈનિંગ માટે યુ.એન.એમ. ફાઉન્ડેશનની નિમણૂક કરવામાં આવી છે. આ ફાઉન્ડેશન આર્કિટેક્ટ, લેન્ડસ્કેપિંગ, અને લાઈટિંગ જેવા વિવિધ નિષ્ણાત કન્સલ્ટન્ટ્સની સેવાઓ ‘નો કોસ્ટ બેઝિસ’ પર પૂરી પાડશે, એટલે કે આ માટે કોઈ પણ કન્સલ્ટન્સી ફી ચૂકવવાની રહેશે નહીં. પ્રાથમિક સર્વેની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે અને હવે આધુનિક ગાર્ડનિંગ અને બ્યુટીફિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
ટ્રાફિક સમસ્યા નિવારવા ખાસ આયોજન
ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ટેકનિકલ ઓડિટ વાહનચાલકોની સુવિધા માટે ટ્રાફિક સર્વે, રોડ સેફ્ટી ઓડિટ અને પેવમેન્ટ ડિઝાઈન જેવી કામગીરી માટે SVNIT જેવી સંસ્થાઓની મદદ લેવાશે. ટ્રાફિક સિગ્નલ, સાઈનેજીસ અને ફૂટ ઓવરબ્રિજની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે થર્ડ પાર્ટી ઓડિટ કન્સલ્ટન્ટની નિમણૂક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવશે, જેથી ટ્રાફિક મુક્ત અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરી શકાય.
પાંચ પ્લોટ ઓક્શનની મંજૂરી
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને વધુમાં કહ્યું કે, ‘જ્યારે ટીપી ફાઈનલ થાય ત્યારે મહાનગરપાલિકાને સેલ્ફ ફોર કોમર્શિયલ અને સેલ્ફ ફોર રેસિડેન્સના પ્લોટ પ્રાપ્ત થતા હોય છે. સ્ટેન્ડિંગ કમિટીની અંદર અલગ-અલગ વિસ્તાર જેમ કે, મોટેરા હોય, ચાંદખેડા, નવા વાડજ, થલતેજ, બોડકદેવ આ વિસ્તારના પાંચ પ્લોટ ઓક્શન કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. જેની બેઝ વેલ્યૂ રૂ.528 કરોડ જેટલી મૂકવામાં આવી છે.’
સ્માર્ટ ટોયલેટ પર QR કોડની સુવિધા
મહાનગરપાલિકાની અંદર અલગ-અલગ વિસ્તારમાં સ્માર્ટ ટોયલેટ ઉભા કરવામાં આવેલા છે. જ્યાં સિનિયર સિટીઝન લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. પરંતું, કેટલીકવાર જ્યારે છૂટા સિક્કા અંદર નાંખવાના હોય ત્યારે તકલીફ ઉભી થતી હોય છે. આવનારા સમયમાં મહાનગરપાલિકાના જેટલા પણ સ્માર્ટ ટોયલેટ છે ત્યાં QR કોડનો ઉપયોગ કરી શકાશે.
1,72,000 જેટલા વિદ્યાર્થીઓને બૂટનું વિતરણ
આવતીકાલથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદના 1,72,000 જેટલા વિદ્યાર્થીઓને બૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનની અંદર જે વિસ્તાર ભળી ગયેલો હતો એ વિસ્તારની અંદરની જે શાળાઓ છે તે શાળાઓને પણ કોર્પોરેશનની અંદર ભેળવવાનો અને સ્કૂલ બોર્ડ હસ્તક તેને એનું હસ્તાંતરિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અમદાવાદ મનપા હસ્તક કરાઇ શાળાઓ
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તકની છ પ્રાથમિક શાળા ઘુમા પ્રાથમિક શાળા, બોપલ પ્રાથમિક શાળા, કઠવાડા પ્રાથમિક શાળા, બી.એલ. મહેતા, કઠવાડા મેઇજ પ્રાથમિક શાળા, ઝવેરી ડેરી ફાર્મ પ્રાથમિક શાળા અને હુડકો પ્રાથમિક શાળા આ છ શાળા અમદાવાદ જિલ્લા પંચાયત હસ્તક હતી, તે હવે 9 ફેબ્રુઆરીથી અમદાવાદ મ્યુનસિપલ સ્કૂલ બોર્ડ હસ્તક હસ્તાંતરિત કરવામાં આવી છે અને ગાંધીનગર જિલ્લા પંચાયતની ત્રણ પ્રાથમિક શાળા ચિલોડા બારૈયા કુમાર પ્રાથમિક શાળા, ચિલોડા બારૈયા કન્યા પ્રાથમિક શાળા અને ગોપાલનગર પ્રાથમિક શાળા એમ કુલ નવ જેટલી પ્રાથમિક શાળાઓને આપણા અમદાવાદ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડ હસ્તાંતરિત કરવામાં આવી છે.



