राष्ट्रीय

મહિલા સાંસદોએ પીએમની બેઠક ઘેરી લેતા મોદી ભાષણ ન આપી શક્યા | Modi could not deliver speech as women MPs surrounded PM’s seat



– ડોકલામ, અમેરિકા સાથે ડીલ મુદ્દે લોકસભામાં વિપક્ષની મહિલા સાંસદોનો સુત્રોચ્ચાર

– વિપક્ષના સાંસદો મોદી પર હુમલો કરવાના ઇરાદાથી તેમની ખુરશી તરફ ધસી આવ્યા હતા : ભાજપનો દાવો

– રાહુલ પુસ્તક સાથે સંસદ પહોંચ્યા જે પૂર્વ સૈન્ય વડા નરવણેનું વિદેશમાં પ્રકાશિત પુસ્તક હોવાનો તેમનો દાવો

નવી દિલ્હી : સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં બોલવાના હતા. જોકે વિપક્ષના સાંસદોએ ચીન અને અમેરિકા સાથે ટ્રેડ ડીલ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. ખાસ કરીને મહિલા સાંસદો વેલ સુધી ધસી આવી હતી. અંતે વડાપ્રધાન મોદીનું ભાષણ મુલતવી રાખવામાં આવ્યું હતું. ભાજપનો આરોપ છે કે મહિલા સાંસદોએ પીએમની ખુરશી ઘેરી લીધી હતી તેથી તેઓ સંસદ ન આવી શક્યા અને ભાષણ ટાળવુ પડયું. જ્યારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક પુસ્તક લઇને સંસદ પહોંચ્યા હતા, આ પુસ્તક પૂર્વ સૈન્ય વડા એમએમ નરવણેનું હોવાનો તેમણે દાવો કર્યો હતો.  

બુધવારે રાહુલ ગાંધી એક પુસ્તક સાથે પહોંચ્યા જે તેમણે મીડિયા અને લોકોને દેખાડયું સાથે દાવો કર્યો કે આ પુસ્તક દેશના પૂર્વ સૈન્ય વડા એમએમ નરવણે દ્વારા લખાયું છે. જેને વિદેશમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે આ તેની કોપી છે, ભારતમાં આ પુસ્તકને પ્રકાશિત થવા દેવાયું નથી. પુસ્તકમાં લખેલા કેટલાક અંશોનો ઉલ્લેખ કરતા રાહુલે કહ્યું હતું કે જ્યારે ડોકલામ વિવાદ વખતે ચીનની ટેન્કો ભારતની સરહદ તરફ આગળ વધી રહી હતી ત્યારે સૈન્ય વડાએ સરકારનો સંપર્ક કર્યો હતો, તે સમયે નરેન્દ્ર મોદીએ એવો જવાબ આપ્યો કે જે ઠીક લાગે તે કરો. મોદી પોતાની જવાબદારી ના નિભાવી શક્યા. અગાઉ સંસદમાં ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મત્રી રાજનાથસિંહ રાહુલ ગાંધીના આ દાવાને ફગાવી ચુક્યા છે. અને આવુ કોઇ પુસ્તક પ્રકાશિત ના થયો હાવો દાવો કર્યો હતો જેને પગલે રાહુલ ગાંધી આ પુસ્તક લઇને સંસદ પહોંચ્યા હતા. બીજી તરફ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનું ભાષણ આપવાના હતા, જેને અંતે ટાળવામાં આવ્યું હતું, જે અંગે ટોણો મારતા રાહુલે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદી સંસદ ન આવ્યા કેમ કે તેઓ ડરી ગયા છે. બુધવારે લોકસભામાં વિપક્ષની મહિલા સાંસદોએ હાથમાં બેનરો સાથે ભારે હોબાળો શરૂ કરી દીધો હતો, આ મહિલા સાંસદો અમેરિકા સાથેની ટ્રેડ ડીલનો વિરોધ કરી રહી હતી સાથે પૂર્વ સૈન્ય વડા નરવણેની પુસ્તકનો જવાબ માગી રહી હતી. સંસદની કાર્યવાહી થોડા સમય માટે સ્થગિત કરવી પડી હતી, બાદમાં બે વાગ્યે કાર્યવાહી શરૂ થતા ભાજપના સાંસદ નિશિકાંત દૂબેએ રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો હતો અને એવા પુસ્તકોનો ઉલ્લેખ કર્યો જેમાં પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધીની ટીકા કરવામાં આવી હોય. તેમણે આવી પુસ્તકોની યાદી બોલવાનું શરૂ કર્યું કે તરત જ વિપક્ષના સાંસદોએ ફરી હોબાળો કર્યો હતો. અંતે સંસદની કાર્યવાહીને દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી હતી જેને પગલે મોદી પોતાનું ભાષણ નહોતા આપી શક્યા. જ્યારે ભાજપના સાંસદ મનોજ તિવારીએ આરોપ લગાવ્યો હતો કે વિપક્ષની મહિલા સાંસદોએ પીએમ મોદીની ખુરસીને ઘેરી લીધી હતી, તેઓ પીએમ મોદી પર હુમલો કરવા માગતી હતી.     

રાહુલે મંત્રી બિટ્ટુને ગદ્દાર કહેતા ભાજપના શીખ નેતાઓ વિફર્યા

બુધવારે સંસદ સંકુલમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને ભાજપના સાંસદ તેમજ કેન્દ્રીય મંત્રી રણવીત સિંઘ બિટ્ટુ વચ્ચે મૌખિક તકરાર જોવા મળી હતી. રાહુલ ગાંધીએ બિટ્ટુને ગદ્દાર કહ્યા હતા જેના જવાબમાં બિટ્ટુએ રાહુલ ગાંધીને દેશના દુશ્મન ગણાવ્યા હતા. લોકસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા બિટ્ટુ બુધવારે  સંસદમાં પ્રવેશ કરી રહ્યા હતા ત્યારે રાહુલે આ ટોણો માર્યો હતો.   જોકે રાહુલના આ ટોણાને બાદમાં શીખ વિરોધી ગણાવીને ભાજપના નેતાઓએ તેમને ઘેર્યા હતા. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતાએ તમામ હદો પાર કરી લીધી છે. ભાજપે રાહુલને ઘેરવા માટે શીખ નેતાઓને મેદાને ઉતાર્યા હતા. દિલ્હીના મંત્રી મંજિંદર સિરસાએ કહ્યું હતું કે ૧૯૮૪માં શીખ વિરોધી રમખાણો સમયે કોંગ્રેસની શીખ વિરોધી માનસિકતા બહાર આવી હતી. 

અમૃતસરમાં સુવર્ણ મંદિર પર હુમલો કરનારો ગાંધી પરિવાર સાચો ગદ્દાર છે.   



Source link

Related Articles

Back to top button