गुजरात

ચોટીલામાં સરકારી જમીન પરની ગૌશાળા તોડી પડાતા હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- ‘ખાતાકીય તપાસ પણ થઈ શકે’ | surendranagar news chotila gaushala demolition dy collector gujarat high court



Surendranagar News: સુરેન્દ્રનગરના કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, ચોટીલા મામલતદાર અને ચોટીલા નગરપાલિકા સામે ગુજરાત હાઇકોર્ટમાં દશનામ ગોસ્વામી સમાજ સેવા ટ્રસ્ટ, ચોટીલા દ્વારા એક અરજી કરવામાં આવી છે. સુનાવણીમાં હાઈકોર્ટએ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણાએ કરેલી કાર્યવાહી પર સંજ્ઞાન લીધું હતું અને કાયદો હાથમાં લેવા પર અધિકારીઓ પર સવાલોનો મારો કર્યો હતો. 

અરજદારનું શું કહેવું છે?

15 જાન્યુઆરીના રોજ અરજદારે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે કોઈપણ જાતની નોટિસ વિના તંત્રએ શિયાળાની ઋતુમાં ગૌશાળાનો શેડ કાઢી નાખ્યો, મહત્વનું છે કે ટ્રસ્ટે સ્વીકાર્યું હતું કે તેમનું બાંધકામ સરકારી જમીન પર છે પરંતુ તેના પર 80 વર્ષથી કબજો છે જેથી કોઈ નોટિસ પણ બતાવવામાં કે આપવામાં આવી નથી. વહીવટી તંત્રએ મંદિર નથી તોડ્યું પણ પણ ગૌશાળા તોડવામાં આવી રહી છે. સામે પક્ષે સરકારી વકીલે કહ્યું હતું કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત નોટિસ અપાઈ હતી. ટ્રસ્ટનું કહેવું હતું કે નોટિસ મળી જ નથી, જે બાબતે કોર્ટે કહ્યું કે શિયાળામાં તેઓ ગાય ક્યાં મૂકશે?  

‘નોટિસ વગર બાંધકામો તોડવાની કામગીરી’

ઉલ્લેખનીય છે કે અરજદારોનો દાવો છે કે ’12:40 વાગ્યે ટ્રસ્ટને આશ્વાસન મળ્યું હતું કે હાલ કોઈ એક્શન લેવામાં આવશે નહીં, પણ તેમ છતાં 1 વાગ્યે ગૌશાળા તોડી પાડવાનો વીડિયો તેમના અસીલ તરફથી મળ્યો હતો’. હાઈકોર્ટે પક્ષકારોને ગાયો માટે ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરીને તેના ફોટો કોર્ટ સામે મૂકવાનો નિર્દેશ હતો, 20 જાન્યુઆરીએ જે ફોટો કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. પણ કોઈ નોટિસ વગર બાંધકામો તોડવાની કામગીરી કરવામાં આવતા દેખીતી રીતે જવાબદાર ઓથોરિટી દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરાયું છે. 

ખાતાકીય પગલાં પણ લેવાઈ શકે: હાઈકોર્ટ

કોર્ટે મામલતદાર ટકોર કરી કે, ‘કોઈપણ પ્રોસિડિંગ વગર તમે જે હુકમ કર્યો છે એ શંકાસ્પદ છે. બાકીની 13 વર્ષ નોકરી કરવાની છે કે કેમ? તમે જવાબ આપશો કે પ્રોસિડિંગ કેમ ના થઈ? નોટિસ વગર બાંધકામ કેમ તોડી પાડ્યું? તમારી સામે ખાતાકીય પગલાં પણ લેવાઈ શકે છે. કોર્ટ સમક્ષ પણ ખોટું બોલ્યા છો તમે ભવિષ્યમાં સસ્પેન્ડ પણ થઈ શકો છો. તમને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનો ખુલાસો આપો, નહીં તો તમારી સામે તપાસના ઓર્ડર કરવામાં આવશે. આ અંગે વધુ સુનાવણી 09 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.’

આ પણ વાંચો: મોડાસામાં સગા ભાઈએ જ ભાઈનું ગળું દબાવી કરી કરપીણ હત્યા, મિલકતના વિવાદમાં લોહિયાળ અંજામ

ઈન્ચાર્જ મામલતદારે ઓર્ડરમાં ક્લેરિકલ મિસ્ટેક થઈ હોવાનુ કહેતા હાઈકોર્ટે નારાજગી પણ વ્યક્ત કરી હતી તેમજ એનડેટેડ અને પ્રોસિડિંગ વિના ઓર્ડર કરતા હાઈકોર્ટે ઉધડો લીધો હતો. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જવાબ રજૂ કરવા 2 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે, તેમજ આગામી સુનાવણી દરમિયાન ઇન્ચાર્જ મામલતદારને પણ કોર્ટમાં હાજર રહેવા હુકમ કર્યો છે. 



Source link

Related Articles

Back to top button