જામનગરમાં વૃદ્ધ મહિલાના અવસાન બાદ તેના પાડોશીઓએ બેંક ખાતામાંથી કથા કરવાના બહાને 9 લાખ રૂપિયા ઉપાડી લઈ કથા કરી નાખી | After death of elderly woman her neighbors withdrew 9 lakh rupees from bank account

![]()
Jamnagar Fraud Case : જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાનું અવસાન થયા બાદ તેઓના બેન્ક ખાતામાંથી નવ લાખ રૂપિયાની રકમ ઉપાડી લઈ પાડોશમાં રહેતા પિતા-પુત્ર એ તેમના નામે કથા કરી નાખી અને છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.
મૂળ ખંભાળિયા તાલુકાના ભાતેલના વતની અને હાલ મોરબી જિલ્લાના ઘુંટુ ગામમાં રહેતા દશરથસિંહ બળવંતસિંહ જાડેજાએ જામનગરમાં પુનિત નગર વિસ્તારમાં રહેતા રતુભા હનુભા જાડેજા અને તેના પુત્ર સામે રૂપિયા નવ લાખની રકમ પોતાના ભાભુના બેન્ક ખાતામાંથી ચેક મારફતે ઉપાડી લઈ કથા કરવાના બહાને અંગત ઉપયોગમાં વાપરી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી દશરથસિંહના ભાભુ રાજુબા કે જેઓ બંને આરોપીઓના પાડોશમાં રહેતા હતા, અને તેઓનું થોડા સમય પહેલા અવસાન થઈ જતાં સમગ્ર પરિવારજનો દ્વારા તેઓના નામે કથા સપ્તાહ કરવાનું વિચાર્યું હતું. દરમિયાન પાડોશમાં રહેતા રતુભા જાડેજા અને તેના પુત્રએ રાજુબાના બેન્ક ખાતામાં પડેલી નવ લાખની રકમ, કે જે બે કટકે ઉપાડીને પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હતી. તેમજ સામાન્ય નાની કથા કરીને તેમાં રાજુબાના પરિવારના કોઈ સભ્યને જોડ્યા ન હતા, અને પોતાની રીતે કથા પૂર્ણ કરી લઈ સમગ્ર પરિવાર સાથે છેતરપિંડી કરી હોવાથી આ મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



