મહેસુલી ક્ષેત્રે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: ગેરકાયદે ગણાતી ઇનામી જમીનો હવે કાયદેસર થશે, જાણો કોને મળશે લાભ | Gujarat government important decision to regularize unauthorized possession of inam lands

Inam lands: ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ઈનામી જમીનોના અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા અંગે એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. 2 ફેબ્રુઆરી, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આ ઠરાવ મુજબ, રાજ્યમાં જે ઈનામી જમીનો પર રી-ગ્રાન્ટની પ્રક્રિયામાં ટેકનિકલ અવરોધો હતા અથવા કબજા કિંમત ભરવાની બાકી હતી, કરવાને પાત્ર હોય પણ ન થયેલ હોય તેવી જમીનોના કબજેદારો અને તેમના વારસદારોના હિતમાં આ મોટો નિર્ણય લેવાયો છે. જમીનધારકોને પડતી વહીવટી મુશ્કેલીઓ નિવારવા માટે સરકારે અગાઉના નિયમોમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ અસરકારક બનાવી છે.
આ નવા સુધારામાં અનધિકૃત કબજા હક્કને નિયમબદ્ધ કરવા માટે હવે પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા જેટલી રકમ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. અગાઉના 28 ઓગસ્ટ, 2023ના ઠરાવની અન્ય તમામ શરતો યથાવત રહેશે. સરકારના આ અભિગમથી વર્ષોથી ઇનામી જમીન સંબંધી ગૂંચવણોમાં ફસાયેલા અનેક જમીનધારકોને લાભ મળશે.
નિયમબદ્ધ કરવાની શરત
રિગ્રાન્ટ કરી હોય કે કરવાને પાત્ર હોય પણ રિગ્રાન્ટ ન થઈ હોય તેવી જમીન સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે. આ માટે જમીનની પ્રવર્તમાન જંત્રીના 20 ટકા કબજાહક્કની રકમ ભરી નિયમબદ્ધ કરી શકાશે. જે જમીનો રિગ્રાન્ટ કરેલી હોય પરંતુ કબજાકિંમત ભરપાઈ ન કરી હોય તેવી જમીનના કબજેદારો, રિગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રિગ્રાન્ટ થઈ ન હોય તેમજ વારસદારો જો આવી જમીનના ધારણકર્તા હોય તેમને આ નિર્ણયનો લાભ મળશે. એટલું જ નહિ, આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદારોને પણ આ નિર્ણયનો લાભ મળવાથી રાજ્યના ખેડૂતોને મોટો ફાયદો થશે.
જંત્રી દર
આવા અનધિકૃત કબજાને નિયમબદ્ધ કરવા માટે હાલની પ્રવર્તમાન જંત્રી કિંમતના 20 ટકા જેટલી કબજા હક્કની રકમ વસૂલવામાં આવશે. અગાઉના ઠરાવ (28/08/2023)ની અન્ય તમામ શરતો અને સૂચનાઓ યથાવત રહેશે.

કોને કોને લાભ મળશે
-રી-ગ્રાન્ટ કરેલ પરંતુ કબજાકિંમત ભરપાઈ કરેલ ન હોય તેવી જમીનના કબજેદાર
-રી-ગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર રી ગ્રાન્ટ થઈ ન હોય
-વારસદારો જો આવી જમીનના અનઅધિકૃત ધારણ કરનાર હોય
-આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ આવી જમીનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદાર
ઇનામી જમીન એટલે શું?
સામાન્ય ભાષામાં કહીએ તો, ‘ઇનામી જમીન’ એટલે એવી જમીન જે ભૂતકાળમાં (રાજશાહી કે બ્રિટિશ શાસન દરમિયાન) કોઈ વ્યક્તિને તેની વિશિષ્ટ સેવાઓ, બહાદુરી અથવા ધાર્મિક કાર્યોના બદલામાં સરકાર કે રાજા દ્વારા ભેટ (ઇનામ) તરીકે આપવામાં આવી હોય. આ જમીનો સેવા બદલ, ધાર્મિક કાર્યો માટે અથવા કલા કે શૌર્ય માટે આપવામાં આવતી હતી.



