ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી હોવાના આક્ષેપ | Allegations that Girnar’s competition was also affected by drug abuse

![]()
અમુક સ્પર્ધકો અવ્વલ નંબર મેળવવા નશાના રવાડે
નાડાના નિયમ મુજબ ડોપ ટેસ્ટ કરાવવા સ્પર્ધકોએ રજૂઆત કરતા આગામી વર્ષે ડોપ ટેસ્ટ કરાવવા આશ્વાસન અપાયું
જૂનાગઢ: રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં નિયમની અમલવારી થતી હોવાનો દાવો થઈ રહ્યો છે. પરંતુ વિજેતા સ્પર્ધકો દ્વારા જ સ્પર્ધામાં ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનું સેવન થતું હોવાની આશંકા વ્યક્ત કરાઇ હતી. સ્પર્ધકોએ સ્પર્ધા સંપન્ન થયા બાદ ડોપ ટેસ્ટ ફરજિયાત કરાવવા ધારાસભ્ય સહિતનાઓને રજૂઆત કરી હતી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અવ્વલ નંબર મેળવવા માટે ડ્રગ્સ જેવા નશા કરવામાં આવતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.તેમ હવે ગિરનારની સ્પર્ધાને પણ નશાની કાળી ટીલી લાગી રહી હોવાના આક્ષેપ ઉઠતા ચકચાર મચી છે.
ગિરનારની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં માત્રને માત્ર ઈનામી રકમ વધારો કરાયો પરંતુ સ્પર્ધાનું આયોજન લોકલ કક્ષાએ થઈ રહ્યું છે. આઠ વર્ષથી સ્પર્ધામાં ભાગ લેતી અને પ્રથમ ત્રણ ક્રમમાં સ્થાન મેળવતી હરિયાણાની રીતુરાજ સિંધુએ સ્પર્ધાના આયોજન સામે પ્રશ્ન ઉઠાવ્યો છે. રીતુરાજ પાંચમાં ક્રમે વિજેતા થઈ હતી. રીતુ રાજ ઉપરાંત જૂનાગઢના રેકોર્ડ હોલ્ડર લાલા પરમાર સહિતના અનેક સ્પર્ધકોએ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં એથ્લેટિક તથા નાડાના નિયમની અમલવારી ન થતી હોવાનું જણાવ્યું હતું. તેઓના જણાવ્યા મુજબ વર્ષોથી સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા થઈ રહી છે પરંતુ હાલ થોડા વર્ષોથી સ્પર્ધામાં વિજેતા થતા અનેક સ્પર્ધકો દ્વારા ફિટનેસ વધારતા ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થનું સેવન થતું હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઝડપી ગતિએ દોડવા છતાં અનેક સ્પર્ધકોને નબળાઈ કે થકાવટના લક્ષણો જોવા ન મળ્યા હતા. જેથી તેઓની ફિટનેસ સામે સવાલો પણ ખડા કર્યા હતા. સામાન્ય સ્પર્ધામાં પણ નાડા દ્વારા કડક નિયમની અમલવારી અને મેડિકલ ટેસ્ટ રિપોર્ટ કરાવે છે પરંતુ જૂનાગઢમાં યોજાતી ગિરનાર સ્પર્ધામાં નાડાના નિયમ મુજબ ડોપ ટેસ્ટ થતા જ નથી. સ્પર્ધકો પણ તેના આરોગ્યની દરકાર લેતા નથી અને માત્રને માત્ર સ્પર્ધામાં વિજેતા થવા અને ઇનામી રકમ મેળવવા નુકસાનકારક પદાર્થોનું સેવન કરી અનેક સ્પર્ધકો શારીરિક સ્વસ્થતાને પણ નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો છે.
સ્પર્ધકોના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજવામાં આવે છે પરંતુ એથ્લેટિક રમતોના નિયમ મુજબ અમલવારી થતી નથી. જેના કારણે સ્પર્ધકોમાં રોષ ફેલાયો હતો. સ્પર્ધકો નહીં પરંતુ વાલીઓ દ્વારા પણ તંત્રને યોગ્ય તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે. અનેક સ્પર્ધકો દ્વારા નુકસાનકારક પદાર્થોનું સેવન થતું હોવાની આશંકા અંગે યુવા વિકાસ અધિકારીને સોશ્યલ મિડીયાના માધ્યમથી યોગ્ય તપાસ કરવા રજુઆત કરી હતી. સ્પર્ધા પૂર્ણ થયા બાદ આજે રીતુરાજ સહિતના સ્પર્ધકો દ્વારા ગિરનાર સ્પર્ધામાં નાડાના નિયમ મુજબ ડોપ ટેસ્ટ કરાવવા ધારાસભ્યને રજૂઆત કરી હતી. આ ઉપરાંત સ્પર્ધા પૂર્ણ થયા બાદ ડોપ ટેસ્ટ નિયમિત કરાવવા માંગ કરી હતી. ધારાસભ્ય દ્વારા આગામી વર્ષથી નિયમની અમલવારી થાય તે માટે પ્રયાસ કરવા આશ્વસન આપ્યું હતું.



