વડોદરા મેરેથોનમાં 1 લાખથી વધુ દોડવીરો જોડાયા, નશામુક્તિના શપથ અને પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ | Vadodara Marathon Sends Strong Message on De Addiction and Environment 1 Lakh Runners Join

Vadodara Marathon: વડોદરા આજે (પહેલી ફેબ્રુઆરી) વહેલી સવારે નવલખી ગ્રાઉન્ડ ખાતેથી વડોદરા આંતરરાષ્ટ્રીય મેરેથોનની 13મી આવૃત્તિનું ભવ્ય પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ વર્ષે મેરેથોન માત્ર શારીરિક ક્ષમતાની કસોટી નહીં, પરંતુ ‘નશામુક્ત ભારત’ અને ‘પર્યાવરણ સંરક્ષણ’ના ઉમદા હેતુ સાથે યોજાઈ હતી.
નશામુક્ત ભારત અને સામાજિક એકતાના શપથ
મેરેથોનનો પ્રારંભ રાજ્યમંત્રી મનીષાબેન વકીલ અને મહાનુભાવો દ્વારા ફ્લેગ-ઓફ આપીને કરવામાં આવ્યો હતો. દોડ શરૂ કરતા પહેલા હજારો દોડવીરોએ સામૂહિક રીતે નશામુક્ત સમાજના નિર્માણ માટે શપથ લીધા હતા. આ વર્ષે પ્રથમ વખત ‘ગજરા રન’નું આયોજન થયું હતું, જેમાં મહારાણી રાધિકારાજે ગાયકવાડની પ્રેરણાથી LGBTQ+ સમુદાયના 800 જેટલા સભ્યોએ ભાગ લઈ સામાજિક સ્વીકાર્યતાનો સંદેશ આપ્યો હતો.

યુવકે પીઠ પર છોડ અને મોઢે માસ્ક લગાવી દોડ પૂરી કરી
મેરેથોનમાં 30 વર્ષના શશીકાંત પાંડાએ અનોખી રીતે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. માસ્ક પહેરી અને પીઠ પર છોડ લઈને તેમણે વૃક્ષોને ઓક્સિજન સિલિન્ડર તરીકે રજૂ કરી વધુ વૃક્ષો ઉગાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શશીકાંત પાંડાએ 10 કિલોમીટર દોડ પૂર્ણ કરી દોડવીરો અને નાગરિકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવી હતી. કોવિડ 19 દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત અનુભવ્યા બાદ તેમણે વાયુ પ્રદૂષણ અને વૃક્ષોના અંધાધૂંધ કાપ સામે જાગૃતિ લાવવાનો સંકલ્પ કર્યો હોવાનું જણાવ્યું હતું. તેઓ વિવિધ મેરેથોનમાં ભાગ લઈ સાયકલિંગ અને દોડ દ્વારા સતત પર્યાવરણ સંદેશ આપતા રહે છે.
આ પણ વાંચો: જ્યાંથી રવિન્દ્ર જાડેજાની ક્રિકેટની સફર શરૂ થઈ, એ જ મેદાનમાં રિવાબાએ કર્યું બેટિંગ
વિવિધ કેટેગરીમાં દોડનું આયોજન
દર વર્ષની જેમ આ વર્ષે પણ ફૂલ મેરેથોન (42 કિ.મી.), હાફ મેરેથોન (21 કિ.મી.), 10 કિ.મી. દોડ, 5.65 કિ.મી. ટાઈમ્ડ રન, હેરિટેજ-ફન રન, ગજરા રન તેમજ દિવ્યાંગ પેરાલિમ્પિક રન જેવી વિવિધ કેટેગરીમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં દેશ-વિદેશના વ્યાવસાયિક દોડવીરોની સાથે વડોદરાની શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના સભ્યો, શાળાના બાળકો તથા દિવ્યાંગોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
સીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા
મેરેથોનનો રૂટ શહેરના 15 જેટલા ઐતિહાસિક અને હેરિટેજ સ્થળો પાસેથી પસાર થયો હતો, જેનાથી વડોદરાની સંસ્કૃતિને વૈશ્વિક ઓળખ મળી હતી. પોલીસ દ્વારા 81 જેટલા રસ્તાઓ પર ડાયવર્ઝન આપીને દોડવીરો માટે સુરક્ષિત માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.



