Budget 2026: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાની જાહેરાત | Health Budget 2026 Big Announcement nirmala sitharaman

![]()
Health Budget 2026 Big Announcement: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સતત 9મું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનાવવા માટે કેટલીક મહત્ત્વની જાહેરાત કરાઈ છે. કેન્સરના દર્દીઓને રાહત આપવાથી લઈને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
1. કેન્સર અને ગંભીર રોગોની દવાઓ થશે સસ્તી
સરકારે કેન્સરના દર્દીઓને મોટી આર્થિક રાહત આપતા 17 જીવનરક્ષક કેન્સર દવાઓ પરની ‘બેઝિક કસ્ટમ ડ્યુટી’ સંપૂર્ણપણે હટાવી દીધી છે. આ નિર્ણયથી કેન્સરના દર્દીઓ માટે મોંઘી દવાઓ સસ્તી બનશે. આ ઉપરાંત, અન્ય સાત દુર્લભ રોગોની દવાઓ પર પણ આયાત ડ્યુટી માફ કરવામાં આવી છે, જેનાથી મોંઘી સારવાર સામાન્ય લોકો માટે સસ્તી અને સુલભ બનશે.
2. ‘બાયો-ફાર્મા શક્તિ’ યોજનાનો પ્રારંભ
ભારતને વિશ્વનું નંબર વન ફાર્માસ્યુટિકલ હબ બનાવવાના લક્ષ્ય સાથે ₹10,000 કરોડના રોકાણ સાથે ‘બાયો-ફાર્મા શક્તિ’ યોજનાની જાહેરાત કરાઈ છે. જેનો ઉદ્દેશ્ય કેન્સર અને ડાયાબિટીસ જેવી જૈવિક દવાઓનું સ્થાનિક ઉત્પાદન વધારવાનો છે. દેશભરમાં 10,000 નવી ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સ બનાવવામાં આવશે. બાયો-ફાર્મા ક્ષેત્રમાં 3 નવી રાષ્ટ્રીય સંસ્થાઓ સ્થપાશે અને હયાત 7 સંસ્થાઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરાશે.
3. આરોગ્ય ક્ષેત્રમાં 2.5 લાખ નોકરીઓ
આગામી પાંચ વર્ષમાં આરોગ્ય ક્ષેત્રે કૌશલ્ય વિકાસ દ્વારા લાખો નોકરીઓ ઊભી કરવામાં આવશે. 1,00,000 સહાયક આરોગ્ય કાર્યકરો (AHP) ને વિશેષ તાલીમ આપવામાં આવશે. 1,50,000 કેર-ગિવર્સ (સંભાળ રાખનારા) તૈયાર કરવામાં આવશે, જે મુખ્યત્વે વૃદ્ધોની સારસંભાળ કરશે. રેડિયોલોજી અને એનેસ્થેસિયા જેવા વિશિષ્ટ વિષયોના શિક્ષણ અને સંસ્થાઓમાં સુધારો કરવામાં આવશે.
આ પણ વાંચો: ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં, નવો IT એક્ટ 1 એપ્રિલથી થશે લાગુ
4. મેડિકલ ટુરિઝમ અને પ્રાદેશિક હબ
દેશમાં મેડિકલ ટુરિઝમને વેગ આપવા માટે ખાનગી ક્ષેત્રના સહયોગથી 5 મુખ્ય મેડિકલ હબ સ્થાપવામાં આવશે. આ ‘હેલ્થકેર સંકુલ’માં આયુષ કેન્દ્રો, ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ (તપાસ કેન્દ્રો) અને સારવાર બાદની સારસંભાળ (રિહેબિલિટેશન) જેવી તમામ સુવિધાઓ એક જ છત નીચે મળશે. આ હેલ્થકેર ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે રોજગારીની નવી તકો ઊભી કરશે.
5. દેશમાં 3 નવી આયુર્વેદ સંસ્થાઓની જાહેરાત
દેશમાં 3 નવી ‘અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાઓ’ (All India Institutes of Ayurveda) સ્થાપવામાં આવશે. જામનગરમાં આવેલા WHO ગ્લોબલ સેન્ટરને વધુ મજબૂત બનાવી આયુર્વેદિક ઉત્પાદનોની નિકાસ વધારવામાં આવશે. વિશ્વસ્તરે યોગ અને આયુર્વેદની સ્વીકૃતિ વધારવા પર વિશેષ ભાર મુકાશે.
6. માનસિક સ્વાસ્થ્ય અને ઇમરજન્સી સેવાઓ
NIMHANS-2: ઉત્તર ભારતમાં એક નવી રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સંસ્થાની સ્થાપના થશે. ડિજિટલ પ્રોફેશનલ્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સના માનસિક સ્વાસ્થ્ય માટે વિશેષ કાર્યક્રમો ચલાવવામાં આવશે. જિલ્લા હોસ્પિટલોમાં ઈમરજન્સી અને ટ્રોમા કેરની ક્ષમતામાં 50% વધારો કરવામાં આવશે. રાંચી અને તેજપુરની આરોગ્ય સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે અને કૃત્રિમ અંગોના ઉત્પાદન માટે વિશેષ સહાય અપાશે.
આ પણ વાંચો: પીએમ મોદીએ બજેટ-2026ને ગણાવ્યું ઐતિહાસિક, કહ્યું – ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર



