કોંગ્રેસમાં ‘ઓલ ઇઝ નોટ વેલ’? ‘અપમાન’ બાદ થરૂરે હાઈ કમાન્ડ બેઠકને બતાવ્યો ઠેંગો | shashi tharoor upset with rahul gandhi may pull out of congress meeting

Shashi Tharoor Skips Congress Meet : કેરળ વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશી થરૂરે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા બોલાવવામાં આવેલી એક મહત્ત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોચ્ચિમાં રાહુલ ગાંધીની હાજરીમાં આયોજિત એક કાર્યક્રમમાં થયેલા કથિત ‘અપમાન’થી નારાજ થઈને તેમણે આ નિર્ણય લીધો છે.
શા માટે નારાજ છે શશી થરૂર?
સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીની કોચ્ચિ મુલાકાત દરમિયાન યોગ્ય ‘સન્માન’ ન મળવાને કારણે શશી થરૂર નારાજ છે. ગત 19 જાન્યુઆરીએ કોચ્ચિમાં કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિની મહાપંચાયત યોજાઈ હતી, જોકે આ નારાજગી અંગે થરૂરે જાહેરમાં હજુ સુધી કંઈ પણ કહ્યું નથી.
ચર્ચા એવી છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હોવા છતાં કાર્યક્રમમાં તેમને સ્ટેજ પર મુખ્ય જગ્યા આપવાને બદલે ઘણે દૂર બેસાડવામાં આવ્યા હતા. તેમજ થરૂરને પહેલેથી જ કહી દેવામાં આવ્યું હતું કે રાહુલ ગાંધી વિગતવાર બોલશે અને બાકીના નેતાઓએ ટૂંકમાં પોતાની વાત પતાવવી પડશે. આ સૂચનાનું પાલન કરીને થરૂરે પોતાનું સંબોધન જલ્દી પૂરું કરી દીધું હતું.
રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ કાર્યક્રમમાં હાજર ઘણા નેતાઓના નામ લીધા હતા, પરંતુ થરૂરનું નામ લેવાનું ટાળ્યું હતું. જેનાથી તેમની નારાજગી વધુ વધી ગઈ. સૂત્રોનું કહેવું છે કે આ જ કારણોસર હવે થરૂરે કોંગ્રેસની બેઠકોમાં ન જવાનો નિર્ણય લીધો છે.
એક ઘટના કે અવગણનાનો સિલસિલો?
શશી થરૂરે પોતાના નજીકના સાથીઓ સમક્ષ પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી, પરંતુ પાર્ટીમાં તેમના યોગદાનને સતત નજરઅંદાજ કરવાના એક મોટા ‘પેટર્ન’નો ભાગ છે. આ ઘટનાથી પાર્ટી કાર્યકર્તાઓમાં પણ વરિષ્ઠ નેતાઓના સન્માન અને આંતરિક અનુશાસનને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે હિમવર્ષા, ફ્લાઈટોને અસર, મુસાફરો અટવાયા
બેઠકથી દૂરી, પણ સાહિત્ય મહોત્સવમાં હાજરી
ભલે શશી થરૂર કોંગ્રેસ હાઈકમાન્ડની બેઠકમાં સામેલ નહીં થાય, પરંતુ તેઓ આજે કેરળ લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેશે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ શશી થરૂરની કથિત નારાજગી કે તેમના બેઠકમાં સામેલ ન થવાના નિર્ણય પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.




