બગદાણા કેસ મામલે મોટા સમાચાર: માયાભાઈ આહીરના પુત્ર જયરાજ SIT સમક્ષ હાજર | Bagdana Attack Case: SIT Summons Jayraj Ahir Son of Mayabhai Ahir

![]()
Bagdana Case: ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસમાં તપાસનો ધમધમાટ તેજ થયો છે. આ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. જે બાબતે આજે 21 જાન્યુઆરીની સાંજે 5:15 કલાકે જયરાજ આહીર SIT સમક્ષ હાજર થયો છે. હાલ SITની ટીમ જયરાજ આહીરની સધન પૂછપરછ કરી રહી છે.
તપાસની મુખ્ય વિગતો
મળતી માહિતી અનુસાર, SIT દ્વારા આ કેસના મૂળ સુધી પહોંચવા માટે પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જયરાજ આહીરને આજે (21 જાન્યુઆરી) સાંજે 5:00 વાગ્યા સુધીમાં ભાવનગર રેન્જ આઈજી (IG) કચેરી ખાતે SIT સમક્ષ હાજર થવા જણાવાયું હતું. સોમવારે (19મી જાન્યુઆરી) ફરિયાદી નવનીત બાલધિયાની SIT દ્વારા સતત 3 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમણે જયરાજ આહીર વિરુદ્ધ 15 જેટલા પુરાવા સોંપ્યા હોવાનો દાવો કર્યો છે.
આ કેસની શરૂઆતમાં તપાસ કરનારા બગદાણા પોલીસ મથકના તત્કાલીન મહિલા PI ડી.વી. ડાંગર અને અન્ય એક PI ને પણ SIT એ પૂછપરછ માટે તેડાવ્યા હતા.
શું છે સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહીરના એક લોક ડાયરાથી થઈ હતી. આ કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના ‘મેનેજિંગ ટ્રસ્ટી’ કહ્યા હતા. નવનીત બાલધિયાએ ફોન કરીને સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં આવું કોઈ પદ નથી.
માયાભાઈએ ભૂલ સ્વીકારી માફી માંગી હતી, પરંતુ ત્યારબાદ નવનીત બાલધિયા પર 29મી ડિસેમ્બર 2025ની રાત્રે આઠ જેટલા શખસોએ પાઈપ અને ધોકા વડે હિંસક હુમલો કર્યો હતો.
નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ ન પડતા તેણે આ હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. આ ઘટના બાદ ભાવનગર સહિત સમગ્ર રાજ્યના કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે આત્મવિલોપનના પ્રયાસો અને દાખાવો કર્યો હતો. કેસની ગંભીરતાને જોતા રાજ્ય સરકારના આદેશથી IPS અધિકારીના નેતૃત્વમાં SIT ની રચના કરવામાં આવી છે.


