મહારાષ્ટ્ર : પાલઘરમાં ગુજરાતી ભાષામાં નોટિફિકેશથી વિવાદ, કોંગ્રેસ-ઠાકરેએ રાજ્ય સરકાર પર સાધ્યું નિશાન | Maharashtra Palghar Gujarati Language Notification Controversy BJP Congress Shiv Sena UBT

| પ્રથમ તસ્વીરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવી, બીજી તસવીરમાં શિવસેના યુબીટીના નેતા સંજય રાઉત, ત્રીજી તસવીરમાં કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવાર અને ચોથી તસવીરમાં કોંગ્રેસ નેતા નાના પટોલે |
Gujarati Language Controversy In Maharashtra : મહારાષ્ટ્રમાં ગુજરાતી ભાષા મુદ્દે ફરી વિવાદ ઉભો થયો છે. પાલઘર શહેરમાં ગુજરાતી ભાષામાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોંગ્રેસ અને શિવસેના UBTએ આ મુદ્દે રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, મહારાષ્ટ્ર પર ગુજરાતી ભાષા થોપવાના પ્રયાસો થઈ રહ્યા છે.
શું છે સમગ્ર વિવાદ?
પાલઘર જિલ્લા કલેક્ટરે 19 અને 20 જાન્યુઆરીએ માર્કસવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) દ્વારા આયોજિત મોરચાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પ્રતિબંધ અંગેનો એક આદેશ જારી કર્યો છે. આ આદેશ મૂળ મરાઠીમાં જ હતો, પરંતુ હાઈવે પર ગુજરાતથી આવતા વાહનચાલકોની સુવિધા માટે તેનું ગુજરાતીમાં ભાષાંતર કરી સરહદી વિસ્તારોમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ ગુજરાતી નોટિસ સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિવાદ શરૂ થઈ ગયો છે.

પાલઘરથી ગુજરાતી થોપવાનું શરૂ : કોંગ્રેસના પ્રહાર
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા કોંગ્રેસ નેતા વિજય વડેટ્ટીવારે (Vijay Vadettiwar) કહ્યું છે કે, ‘આ તો માત્ર શરૂઆત છે. પાલઘરથી ગુજરાતી થોપવાનું શરૂ થઈ ગયું છે. જો મુંબઈમાં પણ ભાજપનો મેયર આવશે તો શહેર કોના ઈશારે ચાલશે તે સ્પષ્ટ થઈ જશે.’
જ્યારે કોંગ્રેસ નેતા નાના પટોલે (Nana Patole)એ આક્ષેપ કર્યો છે કે, ‘મુંબઈને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાનું કાવતરું રચાઈ રહ્યું છે.’
સંજય રાઉતે CM ફડણવીસ પર સાધ્યું નિશાન
શિવેસના યુબીટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis) પાસે સ્પષ્ટતા માંગતા સવાલ કર્યો કે, ‘શું પાલઘર મહારાષ્ટ્રનો ભાગ છે કે પછી બુલેટ ટ્રેન અને વધવણ બંદરના બહાને તેને પાડોશી રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યું છે?’
આ પણ વાંચો : ચૂંટણી પાછળ કયાં પક્ષે કેટલા રૂપિયા ખર્ચ્યા, કયા પક્ષની વધી આવક, જુઓ ડેટા
આદેશ જાહેર કરનાર તંત્રએ શું કહ્યું?
પાલઘર જિલ્લા કલેક્ટર કચેરીના વરિષ્ઠ અધિકારીઓએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી કે, ‘મરાઠી ભાષાનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો. મુંબઈ-અમદાવાદ હાઈવે પર ગુજરાતથી આવતા વાહનચાલકોની સંખ્યા વધુ હોય છે, તેમને ટ્રાફિક ડાયવર્ઝનની સમજ પડે તે માટે જ સરહદી ગામોમાં ગુજરાતી અનુવાદના બેનર મુકવામાં આવ્યા છે. મૂળ વહીવટી આદેશ તો મરાઠી ભાષામાં જ જારી કરવામાં આવ્યો છે.’
આ પણ વાંચો : આસામના કોકરાઝારમાં હિંસા-આગચંપી-તોડફોડ, ઈન્ટરનેટ બંધ, જુઓ VIDEO



