ઉત્તરાયણ બાદ પણ લટકતી દોરીઓ પક્ષીઓ માટે આફત: અમદાવાદમાં ઘુવડ અને છોટાઉદેપુરમાં બગલાનું દિલધડક રેસ્ક્યૂ | Uttarayan festival kite string hanging injured bird Emergency rescue team

Bird Emergency Rescue Team: ઉત્તરાયણ તો ગઈ પણ અબોલ જીવો ખાસ કરીને પક્ષીઓને ઘવાયાને કેસો સતત સામે આવી રહ્યા છે, ઝાડ પર કે શેરી મહોલ્લામાં લટકતી દોરીઓથી પક્ષીઓ ઘાયલ થઈ રહ્યા છે. તેવા જ બે કિસ્સા અમદાવાદ અને છોટા ઉદેપુરમાં સામે આવ્યા છે. અમદાવાદના નારાયણપુરામાં ઘુવડ ફસાયું હતું તો છોટાઉદેપુરની તાલુકા શાળા નંબર એક શાળાના ઘટાદાર વૃક્ષ પર કે બગલો ફસાયો હતો.
ઘુવડ ચાઈનીઝ દોરીમાં ફસાયું
નારણપુરા આર્યન ફ્લેટમાંથી ઘુવડનું રેસ્ક્યૂ કરનાર વિજય ડાભીએ કહ્યું હતું કે નિશાચર પક્ષી ઘુવડ દોરીમાં ફસાયું હોવાનો રાત્રે કોલ આવ્યો હતો, જે બાદ અમારી ટીમ તાત્કાલિક પહોંચી હતી, ત્યાં જઈને જોયું કે ચાઈનીઝ દોરીમાં ફસાયેલું હતું. જેનું રેસ્ક્યૂ કરી સારવાર કરી હતી. જો ઉત્તરાયણ બાદ તમારી ઘર કે વિસ્તારમાં કોઈ દોરીઓ લટકતી હોય તો તેને યોગ્ય નિકાલ કરજો જેથી અબોલ જીવો ઘવાય નહીં.
ઝાડ પર લટકતી દોરીમાં બગલો ફસાયો
છોટા ઉદેપુરમાં પણ આવી જ ઘટના ઘટી હતી, શહેરની તાલુકા શાળા નંબર એકના વૃક્ષ પર એક બગલો ફસાયો હતો, જેની જાણ વિદ્યાર્થીઓ દ્વારા શાળા પરિવારને કરાઇ હતી. શિક્ષક દ્વારા વન વિભાગ તેમજ ફાયરને ટીમને જાણ કરાતા કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, બે કલાકની જહેમત બાદ ક્રેનની મદદથી બગલાને દોરીમાંથી કાઢીમાં આવ્યો હતો. જે બાદ વન વિભાગના કર્મચારીઓ દ્વારા દવાખાને લઈ જવાયો હતો.


મહત્વનું છે કે ઉત્તરાયણના પર્વ દરમિયાન ગુજરાતમાંથી 5439 પક્ષીઓ પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયા હતા. જેમાંથી 4937એટલે કે 91 ટકા પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા હતા. કરૂણા અભિયાન અંતર્ગત ગુજરાતમાં છેલ્લા 9 વર્ષમાં 1.03 લાખ પશુ-પક્ષીને રેસ્ક્યુ કરાયા હતા, જેમાંથી 1.03 લાખને યોગ્ય સારવાર આપીને બચાવી લેવામાં આવ્યા હતા. અમદાવાદમાં સામાન્ય દિવસોમાં પશુ-પક્ષીની ઈમર્જન્સીના 101ની સામે ઉત્તરાયણના 186 કોલ નોંધાયા હતા. જેમાં પશુ ઘાયલ થવાના 107, પક્ષી ઘાયલ થવાના 79 કેસનો સમાવેશ થયો હતો, ઉત્તરાયણ બાદ પણ લટકતી દોરીના કારણે ઘવાયેલા પક્ષીઓ માટે કોલ સતત રણકી રહ્યા છે.



