ગુજરાતના આ ગામમાં છેલ્લા 35 વર્ષથી પતંગ ઉડાવવા પર પ્રતિબંધ, પતંગ ખરીદનારને દંડ, કારણ ચોંકાવનારું | Kite flying has been banned fatepura village dhanera banaskantha Gujarat

Banaskantha News: પતંગ રસિયાઓ ઉતરાયણની આતૂરતાથી રાહ જોઇ રહયા હોય છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં છેલ્લા ૩૫ વર્ષથી પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. આ ગામમાં કોઇ પતંગ ખરીદતું નથી કે દોરી પીવડાવતું નથી. ઉતરાયણ એક એવો સામાન્ય દિવસ હોય છે જેમાં કોઇ જ સળવળાટ જોવા મળતો નથી. આ ગામના યુવાનો પતંગ ઉડાડવાના સ્થાને ક્રિકેટ રમીને તહેવારની ઉજવણી કરે છે એટલું જ નહી આ ગામમાં જો કોઇ ઉતરાયણે પતંગ ચગાવે તેને દંડ ફટકારવામાં આવે છે.
પતંગ ઉડાડવાના સ્થાને ઉતરાયણમાં દાન પૂર્ણ્યથી માંડીને જીવદયાની પ્રવૃતિમાં ગામ લોકો પ્રવૃતિ થઇ જાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ માટે એક કરુણ ઘટના જવાબદાર છે જે 1991માં બની હતી. પતંગ પકડવા જતા વીજ કરંટ લાગવાથી બે યુવાનોના મુત્યુ થયા હતા. આ ઘટના બની ત્યારે ગામ આખું શોખમગ્ન બની ગયું હતું. ત્યાર પછી આગેવાનોએ ભેગા થઇને ઉતરાયણ તહેવારે પતંગ ઉડાડવા પર પ્રતિબંધ મુકી દીધો હતો જેનું પાલન ગામ લોકો હજુ પણ કરે છે. ઉતરાયણ નજીક આવે ત્યારે કરુણ ઘટના મનમાં તાજી થતી હોવાથી સ્વૈચ્છાએ જ પતંગથી દૂર રહે છે.
ગીરના દરિયાઇ પટ્ટી વિસ્તારમાં ભાદરવામાં ઉતરાયણ ઉજવાય છે

ઉતરાયણમાં લપેટ અને કાપ્યોની બૂમ સંભાળાતી રહે છે પરંતુ ગુજરાતમાં ગીર અને સોમનાથ જિલ્લાના કોડિનાર સુત્રાપાડા તથા તેની આસપાસના વિસ્તારના આકાશમાં પતંગ જોવા મળતા નથી. આકાશ એકદમ ચોખ્ખું હોય છે કારણે કે અહીં કોઇ પતંગ ઉડાડતું નથી. ઉતરાયણના સમયગાળા દરમિયાન અહીં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે.
મુક્તપણે વિહરતા પક્ષીઓ પતંગ દોરાથી ઘાયલ થવાની શકયતા રહે છે આથી લોકો પતંગોત્સવ મનાવવાનું ટાળે છે. ઉતરાયણના દિવસે દાન પૂણ્ય અને પૂજાપાઠનો ખૂબ મહિમા છે. પક્ષીઓને ચણ અને પશુઓને ચારો નાખવામાં આવે છે. આ દરિયાઇ પટ્ટી નજીક ઉતરાયણ દરમિયાન પવનની ગતિ અને દિશા પતંગ ઉડાડવા માટે કુદરતી રીતે અનુકૂળ રહેતી નથી. આ વિસ્તારના લોકો ભાદરવા મહિનામાં નૈઋત્યના પવનો વહેતા હોય તેવી સાનુકૂળ સ્થિતિમાં પતંગ ઉડાડે છે.



