જામનગરમાં કાલાવડ નાકા બહારના જર્જરિત પુલનું ડીમોલેશન કાર્ય મકરસંક્રાંતિ પર્વ બાદ હાથ ધરાશે | Demolition work of dilapidated bridge outside Kalavad Naka in Jamnagar will be carried out

![]()
Jamnagar : જામનગર શહેરના કાલાવડના નાકા બહાર 47 વર્ષ પહેલાં બનેલા અને હાલ જોખમી બની ચુકેલા રંગમતી નદી ઉપરના જર્જરિત પુલને તોડીને રૂા.19.48 કરોડના ખર્ચે નવો ચાર માર્ગીય પુલ બનાવવાની કામગીરી શરૂ થાય તે પહેલા તંત્રએ આ વિસ્તારના નાગરિકોની આવન-જાવનમાં બાધા નિવારવા માટે નદીમાં ભરતી ભરીને પાઇપો નાંખીને ડાયવર્ઝન તૈયાર કર્યું છે. આગામી મકરસંક્રાંતિના તહેવાર બાદ જર્જરિત પુલને તોડવાની કામગીરીનો આરંભ થશે.
જામનગર શહેરમાં કાલાવડના નાકા બહાર અમન-ચમન, રંગમતી, તારમામદ, મકવાણા, નેશનલ પાર્ક, ગેલેક્સી, સિલ્વર-ગ્રીન, રબ્બાની પાર્ક, કલ્યાણ ચોક પાછળથી મોરકંડા રોડ વિસ્તારોમાં સંખ્યાબંધ સોસાયટીઓ વસી ગઇ છે. જેમાં હાલ હજારો લોકો રહેવા પણ આવી ગયા છે. તમામને શહેરમાં આવવા-જવા માટે એક માત્ર મહત્વનો રસ્તો એટલેકે રંગમતી નદી ઉપરનો કાલાવડ નાકા બહાર નો પુલ છે. આ જર્જરિત પુલ બાબતે સ્થાનિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રી, જામનગર જીલ્લા કલેકટર અને મ્યુ.કમિશ્નરને આ જર્જરિત પુલ વિષે પત્ર લેખીત રજુઆત કરવામાં આવી હતી. આ દરમ્યાન મોરબીના જુલતા પુલની અને ગંભીરા પુલની જીવલેણ દુર્ઘટના બનતા વિસ્તારના લોકોની નવા પુલ માટેની માંગણી પ્રબળ બન્યા બાદ આ પુલને તોડીને રૂા.19.48 કરોડના ખર્ચ ચાર માર્ગીય નવો પુલ બનાવામાં આવશે. તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી લીધા બાદ કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર પણ ફાળવી દીધો હોવાથી આગામી ટુંક સમયમાં કામ શરૂ થવા જઇ રહ્યું છે.
આ પુલને તોડતા પહેલા જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નદીમાં કાલાવડ તરફથી આવતાં ડાબી બાજુએ અને શહેરમાંથી આવતાં જમણી બાજુએ ગુજરાતી સિપાઇ જમાત ખાના અને ધનસેરીયા હનુમાન મંદિર પાસે થી રસ્તો કાઢીને ડાયવર્ઝન બનાવ્યું છે. હજી તેના ઉપર કપચી પાથરીને સલામત રોડ બનાવ્યા બાદ મકરસંક્રાંતીના પર્વ પછી પુલને તોડવાની કામગીરી શરૂ થશે.
આ અંગે જામનગર મહાનગરપાલિકાના સૂત્રો મારફતે જાણવા મળ્યા અનુસાર આગામી ચોમાસમાં નદીમાં પાણી આવે તે પહેલા અમુક સુરક્ષિત હિસ્સો તૈયાર કરીને ટુ-વ્હીલર્સ હાલાકી વગર પસાર થઇ શકે. તેવી નવા પુલ ઉપર વ્યવસ્થા કરી રાખવાનું તંત્રનું લક્ષ્ય છે. આમ લાંબા સમયે કાલાવડના નાકા બહારની સોસાયટીઓના હજારો રહીશોના દૈનિક ટ્રાફીક જામ અને જોખમી પુલની સમસ્યાનો અંત આવી શકશે.


