બંને NCPના કાર્યકર્તા એક થવા આતુર: અજિત પવારના નિવેદનથી મહારાષ્ટ્રમાં મોટી ઉથલપાથલના અણસાર | Maharashtra : Ajit Pawar Says Both NCP Workers Want To Unite And Tension Within The Family End

![]()
Maharashtra Political News : મહારાષ્ટ્રમાં મહાયુતિના સાથી પક્ષ NCPના પ્રમુખ અજીત પવારે શરદ પવારની પાર્ટી મામલે ચોંકાવનારું નિવેદન આપતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. અજીતે કહ્યું છે કે, એનસીપીના બંને જૂથોના કાર્યકરો એક થવા ઈચ્છે છે અને પવાર પરિવારનો વિવાદ પણ ખતમ થઈ ગયો છે.
મીડિયા રિપોર્ટ મુજબ અજિત પવારે (Ajit Pawar) કહ્યું કે, ‘બંને એનસીપીના કાર્યકર્તાઓ એક થવા માંગે છે. બંને પાર્ટી હવે સાથે છે. અમારા પરિવારના તમામ વિવાદ ખતમ થઈ ગયા છે.’ લગભગ બે વર્ષ પહેલા અજિત પવારે શરદ પવાર (Sharad Pawar)ની એનસીપીમાં બળવો કર્યો હતો અને મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા હતા. ત્યારથી એનસીપીના બે ભાગલા પડી ગયા છે.
આ પણ વાંચો : તેજ પ્રતાપ યાદવે પિતા લાલુ સાથે મુલાકાત કરી, ભાઈ સાથે કર્યું આવું વર્તન
બંને NCPએ નગર નિગમની ચૂંટણી સાથે લડી
હવે અજિતના નિવેદન મુજબ એનસીપીના બંને જૂથો એક થઈ ગયા છે. બંને પાર્ટીઓએ પિંપરી ચિંચવાડ નગર નિગમની ચૂંટણી સાથે લડી છે. અગાઉ અજિત પવારે કહ્યું હતું કે, મેં સત્તાધારી ગઠબંધન વિરુદ્ધ એક પણ આક્ષેપ કર્યો ન હતો, છતાં ભાજપે મારા પર કરેલી ટિપ્પણીઓને મીડિયાએ ખોટી રીતે દેખાડી હતી.’
મેં મહારાષ્ટ્ર સરકાર પર કોઈ આક્ષેપ કર્યો નથી : અજિત પવાર
થોડા દિવસો પહેલા અજિત પવારે રાજ્યના પ્રોજેક્ટ મામલે મહારાષ્ટ્ર સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે તેમણે આ મામલે ખુલાસો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે, ‘મીડિયાએ મારું નિવેદનને ખોટી રીતે દેખાડ્યું હતું. મેં કોઈપણ આક્ષેપ કર્યો ન હતો. મહારાષ્ટ્ર સરકાર સારુ કામ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis)ના નેતૃત્વમાં સારુ કામ થઈ રહ્યું છે. મેં આ વાત કહી હતી, પરંતુ મારુ સંપૂર્ણ નિવેદન ન દેખાડાયું. મેં આ જ આધારે નિવેદન આપ્યું હતું. મેં કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો મહારાષ્ટ્રના દરેક ખૂણાના વિકાસ પ્રોજેક્ટ માટે જરૂરી રકમ ફાળવી રહી છે. તેમના દ્વારા કોઈપણ વિકાસ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો નથી. જોકે અમલીકરણમાં ખામીઓના કારણે સ્થાનીક સ્તરે અપેક્ષિત પ્રગતિ થઈ રહી નથી.’



