ભારતનું સૌથી સ્વચ્છ શહેર સુરતની દુર્દશા : સોલિડ વેસ્ટ ટ્રાન્સફર સ્ટેશન આસપાસ કચરાના ઢગલા શહેરની સુંદરતા અને સ્થાનિકો માટે આફત | Piles of garbage around solid waste transfer station are disaster for beauty of city and locals

![]()
Surat : ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ સુરત દેશના તમામ મોટા શહેરને પાછળ મુકીને દેશનુ સૌથી સ્વચ્છ શહેર બની ગયું છે. આ માટે સુરત પાલિકાને એવોર્ડ પણ મળ્યો છે પરંતુ સુરત કાગળ પર તો સ્વચ્છ જોવા મળી રહ્યું છે પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગ પાલિકાની કામગીરી સામે શંકા કરી રહ્યાં છે. સૌથી વધુ ખરાબ હાલત સુરત પાલિકાના ટ્રાન્સફર સ્ટેશનની આસપાસ રહેતા લોકો કે નજીકથી પસાર થતા લોકોની રહે છે. સુરતના વેડ રોડ પર આવેલા ટ્રાન્સફર સ્ટેશન પર રોજ કચરાના અનેક પોટલા પડેલા હોય છે તેના કારણે પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે.
સુરતે દેશનું સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવી લીધું છે પરંતુ હવે પાલિકા તંત્ર અને લોકોની બેદરકારીના કારણે આ પહેલો નંબર ખતરામાં મુકાઈ રહ્યો છે. લોકો આડેધડ રસ્તા પર કચરો ફંકડા અચકાતા નથી તો બીજી તરફ પાલિકાની પણ નબળી કામગીરીને કારણે સુરત આવતા વર્ષે સ્વચ્છતા લીગમાં અગ્રેસર રહેશે કે કેમ તે પ્રશ્નો ઉભા થયા છે.
પાલિકાના કતારગામ ઝોનમાં વેડ રોડ પરનું ટ્રાન્સફર સ્ટેશન સ્થાનિકો અને વાહન ચાલકો માટે આફત બની રહ્યું છે. આ જગ્યાએ નબળી કામગીરી હોવાથી અનેક વાહનોની લાઈન લાગે છે આ ઓછું હોય તેમ આ વિસ્તારમા પાલિકાની કચરા ગાડીમાંથી કચરાના અનેક પોટલા રસ્તા પર પડે છે. કચરાગાડી દ્વારા કે પાલિકા દ્વારા રસ્તા પર પડેલા આ પોટલા ઉઠાવવાની તસ્દી લેવામાં આવતી નથી. જેના કારણે આ વિસ્તારમાં ગંદકી ફેલાતી હોવા સાથે વાહન ચાલકો માટે પણ આ કચરાના પોટલા જોખમી બની રહ્યાં છે.
આ ટ્રાન્સફર સ્ટેશનની આજુબાજુ ખુલ્લામાં પડેલો કચરો, દુર્ગંધ, માખી–મચ્છરનો ઉપદ્રવ થતો હોવાની ફરિયાદ થઈ રહી છે. આ ઉપરાંત રસ્તા પર પડેલા કચરાના પોટલાથી લોકોના આરોગ્ય સામે પણ જોખમ ઉભુ થયું છે અને અકસ્માતનો પણ ભય રહેલો છે.
સુરત પાલિકા દ્વારા શહેરના કચરા નિકાલ માટે દર વર્ષે કરોડો રૂપિયાનું ખર્ચ કરવામાં આવે છે. આધુનિક મશીનરી, વાહનો અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ હોવા છતાં વેડરોડ જેવા વિસ્તારમાં જોવા મળતા આવા દ્રશ્યો પાલિકાની કામગીરી અને મોનીટરીંગ વ્યવસ્થા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સ્વચ્છતાની હરીફાઈમાં અગ્રસ્થાને રહેલા શહેરમાં જો ટ્રાન્સફર સ્ટેશન આસપાસ જ કચરો બેરોકટોક ફેલાય રહ્યો છે જેના કારણે પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.



