વડોદરામાં ડ્રેનેજની કામગીરી માટે વિશ્વામિત્રી રેલવે સ્ટેશનથી સનસીટી સુધી માર્ગ બંધ, ડાયવર્ઝન આપ્યું | Road from Vishwamitri Railway Station to Suncity closed for drainage work in Vadodara

![]()
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનનની આયોજન વિનાની આડેધડ કામગીરીના કારણે શહેરના વિવિધ ચાર રસ્તે માર્ગ બંધ અથવા ડાયવર્ઝન અપાયા બાદ તંત્ર દ્વારા જાણે કે રાત દિવસ કામ કરાવવાનું આયોજન કરાયું હોય એવી રીતે વિશ્વામિત્રી સ્ટેશનથી સનસીટી સર્કલ તરફ નવી ગ્રેવીટી લાઈન નાખવા અંગે કામગીરી પુરી ના થાય ત્યાં સુધી જરૂરિયાત મુજબ વાહન વ્યવહાર માટે બંધ રાખવા અન્ય વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારના મુખ્ય ચાર રસ્તા પર નવી આધુનિક વરસાદી ગટર અને નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરી તંત્ર દ્વારા જાણે કે રાત-દિવસ કરવાની હોય એવી રીતે મુખ્ય ચાર વિસ્તારોમાં વાહન વ્યવહાર માટે રોડ રસ્તા બંધ કરી વૈકલ્પિક માર્ગો આપવામાં આવ્યા હતા. હજી આ ચાર મુખ્ય વિસ્તારોની કામગીરી શક્યત: શરૂ પણ નહીં થઈ હોય ત્યારે શહેરના વિશ્વામિત્રી સ્ટેશનથી સન સીટી સર્કલ તરફ નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઈન નાખવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવાની છે આ જગ્યાએ હેવી મશીનરી તથા મજૂરો અને કારીગરોની હેરફેર તથા કામગીરી માટેનો માલ સામાન રાખવાનો હોવાથી વિશ્વામિત્રી સ્ટેશનથી સનસીટી સર્કલ તરફ જતા રસ્તે પ્રમુખ દર્શન સોસાયટી સુધીના રસ્તા પર કામગીરીવાળો ભાગ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી કામની સ્થળ સ્થિતિની આવશ્યકતા મુજબ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રાખવાની જરૂરિયાત જણાઈ છે. જેના વિકલ્પો અને વૈકલ્પિક રસ્તાનો સાવચેતીપૂર્વક વપરાશ માટે રાહદારીઓ અને તમામ પ્રકારના વાહનચાલકોએ ઉપયોગ કરવાનો રહેશે. ડ્રેનેજ ગ્રેવિટીની કામગીરી વધુ ઊંડાઈની હોવાથી પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશબંધી પણ ફરમાવી સુરક્ષિત અંતર રાખવા પણ પાલિકાની ડ્રેનેજ પ્રો. શાખા દ્વારા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી વડોદરાને સફાઈમાં પ્રથમ લાવવાના ઇરાદે આગામી ચૂંટણીના પડઘમ શરૂ થતાં અગાઉ પદાધિકારીઓ તમામ કામગીરી રાતોરાત પૂરી થઈ જાય એવી અપેક્ષામાં આયોજન વિનાની આડેધડ કામગીરીમાં લાગી ગયા હોવાનું શહેરીજનો માની રહ્યા છે.



