અમદાવાદમાં આજથી રસી માટેના ‘ધરમધક્કા’ થશે બંધ, તમામ રસીકરણ કેન્દ્રો શરૂ કરાયા
અમદાવાદ: કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રસીકરણ મહા અભિયાન શરૂ કર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકો વહેલી સવારથી રસીકરણ કેન્દ્ર પર તો જાય છે પરંતુ રસીનાં અભાવને કારણે લોકો કલાકો રાહ જુવે તો પણ રસી મૂકાવી શકતા ન હતા આ સાથે શહેરનાં અનેક રસીકરણ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા. હજારો અમદાવાદીઓને રસી મુકાવવા માટેનાં ધરમધક્કા ખાવા પડતા હતા. તો આજે આ અંગે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં ફરી તમામ રસીકરણ કેન્દ્રો પર રસી મળશે. એક અંદાજ પ્રમાણે, શહેરને આજે 35થી 37 હજાર જેટલી રસી મળી છે.
તમામ રસીકરણ કેન્દ્રો શરુ
આ અંગે ન્યૂઝ18ગુજરાતીએ સ્ટેન્ડિંગ કમિટિનાં ચેરમેન હિતેશ બારોટ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે અમદાવાદ શહેરને 37હજારથી વધુ રસી મળવાની છે. જેના કારણે 400 જગ્યા પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટિ સેન્ટર સાથે જે સોસાયટીઓની રસીની માંગ હતી ત્યાં તમામ જગ્યા પર આજે રસીકરણની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
રસીનો જથ્થો વધારાયો
શહેરમાં સામાન્ય રીતે 400 સેન્ટર પર વેક્સિનની કામગીરી શરૂ કરાતી હોય છે, પરંતુ એક સપ્તાહથી શહેરમાં વેક્સિનનો જથ્થો 25 હજાર કે તેથી પણ ઓછો આપવામાં આવતો હતો.
જેના કારણે, શહેરના 140 જેટલા કેન્દ્રો પર જ વેક્સિનેશન ચાલુ રખાતું હતું, જેમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર અને કેટલાક મહત્ત્વના હોલ સહિતના સેન્ટર પર વેક્સિન કામગીરી કરાતી હતી. જોકે સરકાર રસીનાં વધુ ડોઝ ફાળવવાની હોવાથી હવે તમામ 400 સેન્ટર પર શનિવારે મ્યુનિ. વેક્સિન આપવામાં આવી રહ્યાં છે.