સુરત : પોલીસે જ્યારે પરિણીતાને પૂછ્યું કે, પતિ સાથે નથી રહેતી તો ગર્ભવતી કઇ રીતે થઇ? મચ્યો હોબાળો
સુરતમાં દંપતી વચ્ચેના ઝઘડામાં મહિલા પોલીસ મથકમાં કાઉન્સિલીંગ સમયે પરિણીત મહિલાએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ કર્મચારીએ મહિલાને સવાલ કર્યો હતો કે, પતિ સાથે શારિરીક સબંધ નહીં હોવા છતા પોતે ગર્ભવતી કેવી રીતે બની? આ સવાલ પૂછતાની સાથે આ મામલે સ્પષ્ટતા કરવાને બદલે મહિલા ઉશ્કેરાય ગઇ હતી અને પોલીસ પર આક્ષેપ સાથે હંગામો મચાવ્યો હતો. જોકે, પોલીસની કામગીરી પર આક્ષેપ કરી પોલીસ સ્ટેશન માથે લેતા આ મહિલા વિરુદ્ધ પોલીસે પોતાની ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
સુરતના વરાછા યોગીચોકના સહજાનંદ હાઇટ્સમાં રહેતા શૈલેષ માવાણીએ વર્ષ 2016માં તેજસ્વીની વૈકંઠે ઢાડે સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. તેમને હાલમાં 3 વર્ષની પુત્રી છે. છેલ્લા બે વર્ષથી પતિ-પત્ની વચ્ચે મનમેળ નહીં રહેતા તેઓ વચ્ચે રોજ ઝઘડા થતા હતા. જોકે પતિ લોકડાઉન સમયે પોતાના ભાઈ સાથે પત્ની અને બાળકીને મૂકીને વતન જતો રહ્યો હતો. જેને કારણે પરિણીતાને પોતાનું અને બાળકીનું ભરણપોષણ કરવું મુશ્કેલ પડતુ હતુ.
જેથી પરિણીતા તેજસ્વીનીએ ગત તા. 23ના રોજ, મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ શૈલેષ માવાણી અને જેઠ સંજય માવાણી વિરૂધ્ધ અરજી કરી હતી. આ અરજીની તપાસ અંતર્ગત મહિલા પોલીસ સ્ટેશન દ્વારા તારીખ 24ના રોજ જેઠ સંજયનું નિવેદન નોંધ્યું હતું. જેમાં પતિ સુરતમાં કામધંધો નહીં મળતા વતનમાં રહી ચાલી ગયેલ હોવાનું જાણકારી આપી હતી. જેને લઈને આજે પરિણીતાના પતિને વતનથી આવતા શૈલેષને નિવેદન નોંધવા બોલાવ્યો હતો.