ગુજરાતના વાતાવરણમાં ફરી આવશે પલટો! આ તારીખોએ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી છે માવઠાની આગાહી

અમદાવાદ: રાજ્યમાં ફરીથી માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના કારણે પાકિસ્તાનના કરાંચી વાયા થઇ ગુજરાત તરફ આ વરસાદી વાતાવરણ ફેલાશે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે. જેના કારણે ફરી એકવાર ખેડૂતોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. આગાહી પ્રમાણે, આ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા તથા સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં ઝાપટાંની શક્યતા છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, બે દિવસ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 6 જાન્યુઆરીના રોજ ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છ તેમજ પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે તેવું અનુમાન છે. 5 અને 6 જાન્યુઆરીના રોજ વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થશે અને તાપમાન 2થી 3 ડીગ્રી ગગડવાી શક્યતાઓ છે. આ સાથે, અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. તો લઘુતમ તાપમાન પણ વધતાં રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. ઠંડા પવનો ઘટતાં રાજ્યનાં 12 શહેરમાં ગરમીનો પારો 29થી 31 ડીગ્રી વચ્ચે નોંધાયો છે.