गुजरात

સુરત: માતા-બહેનની હત્યા પછી તબીબે કહ્યું,’પિતા અમારી જવાબદારી લઇ શક્યા હોત પણ ન લીધી’

સુરત: કતારગામમાં જીંદગીથી કંટાળી મહિલા તબીબે માતા અને નાની બહેનને બેભાન કરવાના ઈન્જેક્શનના ઓવરડોઝ આપી હત્યા કર્યા બાદ પોતે પણ ઉંઘની ગોળીઓથી સુસાઈડનો પ્રયાસ કર્યો હતો. આ અંગે પોલીસ નિવેદનમાં આરોપી દર્શના કાંતિલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ‘તેના પિતા પરિવારની સામાજિક, આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી શક્યા હોત પરંતુ તેઓએ એવું ન કર્યું.’ નોંધનીય છે કે, ચોકબજાર પોલીસે દર્શના વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરીને મંગળવારે તેની ધરપકડ કરી હતી. દર્શનાએ પોલીસને જણાવ્યું હતું કે, તે ઘણા સમયથી ડિપ્રેશનમાં છે. તેના પિતાએ પરિવારની જવાબદારી નિભાવી ન હતી. એક પિતા તરીકે પણ તેઓએ સામાજીક-આર્થિક અને શૈક્ષણિક જવાબદારી નિભાવી ન હતી.

દર્શના સતત રડ્યા જ કરે છે

મળતી માહિતી પ્રમાણે, દર્શના છેલ્લા બે દિવસથી સતત તાણમાં છે તે રડ્યા કરે છે. દર્શનાનું કહેવું છે કે, તેની માતા અને બહેન તેની વગર જીવી શકે એમ ન હોવાથી તેમની હત્યા કરી હતી હવે પોતે માતા અને બહેન વગર કેવી રીતે જીવી શકશે? માતા અને બહેન વગરનું જીવન વ્યર્થ છે. મંગળવારે ચોકબજાર પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને જ્યુડિશિય કસ્ટડીમાં મોકવી આપવા હુકમ કર્યો હતો.

‘મારે અંગત કારણોથી આત્મહત્યા કરવી હતી’

મહિલા તબીબ દર્શનાએ પોતાના ડાઈંગ ડિક્લેરેશનમાં કહ્યું હતું કે, મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી પણ મારા વગર માતા-બહેનનું શું થશે? એ ચિંતામાં હત્યા કરી હતી. ડો. દર્શનાએ સુસાઈડ નોટ પણ લખી હતી. દર્શનાએ ડાઈંગ ડિક્લેરેશનમાં મેજીસ્ટ્રેટ સમક્ષ લખાવ્યું હતુ કે, હું મારી માતા અને બહેન સાથે લાગણીથી જોડાયેલી છું. અમે ત્રણેય જણા એકબીજા વગર થોડા સમય માટે પણ જીવી શકીએ એવું નથી. મારે અંગત કારણોસર આત્મહત્યા કરવી હતી. પરંતુ મે વિચાર્યું કે, મારા વગર મારી માતા-બહેનનું શું થશે. તેઓ મારા વગર કેવી રીતે જીવશે તેથી તેમને મારી નાખવાનું નક્કી કર્યું હતું. બહેનની તબિયત થોડી સારી ન હતી અને માતાને શરીર દુખતું હોવાથી રાત્રે 12:30 વાગે ઉંઘની દવાનું ઇન્જેક્શન આપીને તેમની હત્યા કર્યા બાદ મે ઉંઘની 27 ગોળી ખાઈ લીધી હતી.તેણીએ સુસાઈડ નોટમાં પણ એવું જ લખ્યું છે કે, હું મરીશ તો મારી બહેન અને માતાનું શું થશે?

મોટી દીકરી દર્શના હોમિયોપેથી ડોક્ટર

તેઓ મૂળ ભાવનગરના તળાજાના પસવી ગામના વતની છે. હાલ તેઓ કતારગામ ધનમોરા નજીક સહજાનંદ સોસાયટીમાં રહેતા હતા. વાટલીયા પ્રજાપતિ સમાજના 62 વર્ષીય મંજુલાબેન કાંતિભાઈ સોંડાગરની 31 વર્ષીય મોટી પુત્રી દર્શના હોમિયોપેથી તબીબ છે અને પ્રાઈવેટ પ્રેક્ટિસ કરતી હતી. તેમની 29 વર્ષીય નાની પુત્રી ફાલ્ગુની પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષિકા હતી. પુત્ર ગૌરવ પ્રાઈવેટ કંપનીમાં કામ કરે છે. પિતા 20 વર્ષથી અલગ રહે છે.

તે રાતે શું થયું હતું?

તબીબ પુત્રી દર્શનાએ શનિવારે મોડી રાત્રે માતા અને તેમની નાની બહેનને ઈન્જેક્શન આપી હત્યા કરી પોતે ઉંઘની વધુ પડતી દવાઓથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સવારે રક્ષાબંધન હોવાથી ગૌરવ ઘરે પરત આવ્યો ત્યારે ત્રણેને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં માતા-નાની બહેનને મૃત જાહેર કર્યા હતા. જ્યારે દર્શનાની હાલત ગંભીર હતી.

Related Articles

Back to top button