ગુજરાત વેપારી મહા મંડળે ઓકસિજન બેંકની સ્થાપના કરી, જાણો કેવી રીતે મળશે સિલિન્ડર?

ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. બેડથી માંડીને ઓક્સિજન, ઇન્જેકશન તેમ જ વેન્ટિલેટર બેડની સૌથી વધુ અછત થઈ છે. બીજી તરફ છેલ્લાં કેટલાંક દિવસોથી કેસોની સંખ્યામાં ઘટાડો થતાં હાશકારો થયો છે. બીજી લહેરમાં ગામડાંઓમાં સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયે કોરોનાના દર્દીઓની સેવામાં એક પછી એક સામાજિક સંસ્થાઓથી માંડીને અનેકવિધ લોકો જોડાતાં જાય છે. આ મિશનમાં હવે ગુજરાતનું સૈથી મોટું વેપારીઓનું મહામંડળ એવા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ (GCCI) પણ ઓક્સિજન બેંકની સંથાપના કરી છે. 500 ઓક્સિજન સિલિન્ડરો સાથે શરૂ કરેલી આ બેંકમાંથી વિવિધ સરકારી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં આપવામાં આવ્યા છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી જનરલ યોગેન્દ્રકુમાર ત્રિવેદીએ જણાવ્યું કે, GCCIએ હાલના પડકારજનક સમયમાં જરૂરી સહયોગ આપવા માટે અનેક પહેલ કરી છે. જેમાંથી એક મહત્વપૂર્ણ પહેલ ઓક્સિજન બેંક સ્થાપવાની પણ છે. જીસીસીઆઇએ સ્થાપેલી બેંકમાં 500 ઓક્સિજન સિલિન્ડરો વિવિધ સરકારી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં આપવામાં આવે છે.
અમદાવાદની ડો. જીવરાજ મહેતા હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, ઊંઝામાં ઉમિયા માતા સંસ્થા અને સિવિલ હોસ્પિટલ ઉપરાંત કડીમાં ભાગ્યોદય હોસ્પિટલ, સાણંદમાં કોવિડ કેર સેન્ટર, ખેડા તથા મહીસાગર જિલ્લામાં કલેકટર કચેરીઓ, બાવળાની ત્રિમૂર્તિ હોસ્પિટલ, પાટણમાં ચાણસ્મા હોસ્પિટલ અને જનતા હોસ્પિટલ તેમ જ મહેસાણા જિલ્લાની પાલનપુર, સીંધવા, જોટાણા, બેચરાજી તેમ જ સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડીની સરકારી હોસ્પિટલોને ઓક્સિજન સિલિન્ડરો આપવામાં આવ્યા છે.