અટલબિહારી વાજપાઇ: રાજકોટમાં BJP 60માંથી 59 બેઠક જીતી તો અટલજીએ અફસોસ કર્યો હતો વ્યક્ત!

આજે 25 ડિસેમ્બર એટલે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જેમની ગણના અજાતશત્રુમા થાય છે. તેવા અટલબિહારી વાજપાઇ નો જન્મદિવસ છે . આજે ભલે અટલબિહારી વાજપાઈ આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો તેમના નૈતિક મૂલ્યો અને તેમની કવિતાઓ હર હંમેશા આપણી સાથે છે. ત્યારે અટલજી અને રાજકોટ શહેરના નાતા ની વાત કરવામાં આવે તો તે પાંચ દાયકા જૂનો છે. વર્ષ 1952 થી સમયાંતરે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની મુલાકાતે અટલબિહારી વાજપાઇ આવતા રહ્યા છે.
અટલજી રાજકોટ જ્યારે પણ આવતા ત્યારે તેઓ લોધાવાડ ચોક સ્થિત ગુજરાત જનસંઘના પાયાના પથ્થર એવા ચીમનભાઇ શુકલના ઘરે રોકાતા હતા. અટલજી વર્તમાન પત્રો વાંચવાના શોખીન હતા. જેથી તેઓ જેટલા દિવસો રાજકોટ રોકાતા તેટલા દિવસો તેઓ લોધાવાડ ચોક થી રાજકોટ જિલ્લા લાઇબ્રેરી કે જે માલવિયા ચોક ખાતે આવેલી છે ત્યાં વાંચવા જતા હતા.
સૌ કોઈ જાણે છે કે અટલજી ખાવાના ખૂબ શોખીન હતા. ત્યારે તેઓ રાજકોટ જયારે પણ આવતા તેઓ અચૂક રાજકોટ શહેરના સૌથી પ્રખ્યાત લાબેલા ગાંઠીયા વાળાના ગાંઠીયા ખાવાનું પસંદ કરતા હતા. તો ક્યારેક અટલજી રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા ત્યારે પણ તેમનું જમવાનું ટિફિન ચીમનભાઇ શુકલના ઘરેથી જ જતું હતું અને તેમાં પણ તેઓ કાઠીયાવાડી વાનગીઓ ખાવાનું પસંદ કરતા હતા.
ત્યારે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરીના સભ્ય ડોક્ટર કમલેશ જોશીપુરા એ ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં રાજકોટ શહેર અને અટલજીના નાતા વિશે કેટલીક વાતો જણાવતા કહ્યું હતું કે, અટલજી ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકર ને માન અને સન્માન આપતા હતા. અટલબિહારી બાજપાઈ જ્યારે પણ રાજકોટ આવતા ત્યારે યુવા કાર્યકર્તાઓ ને પોતાના બાળપણનો એક કિસ્સો હર હંમેશ કહેતા હતા. અટલબિહારી બાજપાઈ જ્યારે ધોરણ પાંચ માં અભ્યાસ કરતા હતા તે સમયે ગ્વાલયરની અંદર એક વક્તૃત્વ સ્પર્ધા ની અંદર તેમને ભાગ લીધો હતો.તે સમયે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ દસ મિનિટ બોલવાનું હતું. તે સમયે જે તે વિષય પસંદ કર્યા બાદ અટલબિહારી વાજપાઇ જે તે વિષય પર માત્ર પાંચ મિનિટ જ બોલી શક્યા હતા. ત્યારબાદ તેઓ તે વિષય સંબંધિત બાબતો ભૂલી ગયા હતા તે સમયે ત્યાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ તેમને બેસી જવાનો આગ્રહ કર્યો હતો, બસ તે જ સમયે અટલજીએ મનોમન એક નિશ્ચય કર્યો હતો કે, હવેથી હું જ્યારે પણ બોલીશ મારો વક્તવ્ય મૌલિક ચિંતન ના આધાર પર હશે. અટલબિહારી વાજપાઇ ની કવિતા લોક જીવ્હે હંમેશા જીવાતી હોય છે ત્યારે તેમણે પોતાની પ્રથમ કવિતા 13 વર્ષની ઉંમરમાં લખી હતી.
વર્ષ 1984 ચૂંટણીમાં ગ્વાલિયર ખાતે માધવરાવ સિંધિયા ની સામે અટલબિહારી વાજપાઇ ની હાર થઇ હતી. જે ચૂંટણી પૂર્ણ થતાં જ તરત જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી હતી જેમાં પ્રચાર-પ્રસાર અર્થે અટલજી રાજકોટ આવી પહોંચ્યા હતા. તે સમયે પણ તેમના ચહેરા પર કોઇ પણ જાતની હતાશા કે દુઃખ કે નિરાશા જોવા નહોતી મળી.