જામનગર: કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ લંડનથી ઝડપાયો

જામનગર: કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ ની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. લંડન ખાતેથી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જયેશ પટેલની ધરપકડ કરવા માટે અમદાવાદથી ખાસ પોલીસ અધિકારી દીપેન ભદ્રેન ને જામનગર મોકલવામાં આવ્યા હતા. વિદેશમાં ધરપકડ કરવામાં આવી હોવાથી હવે જયેશ પટેલના ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જયેશ પટેલ વિરુદ્ધ જામનગરમાં 40થી વધારે ગુના નોંધાયેલા છે. જયેશ પટેલ લોકોને ધાક-ધમકી આપીને જમીન પડાવી લેતો હતા. આ ઉપરાંત લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ અને ગુજસીટોક હેઠળ પણ જયેશ સામે ગુનો નોંધાયેલો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત પોલીસ અને લંડન પોલીસે સંયુક્ત રીતે આ ઑપરેશન પાર પાડ્યું છે. જોકે, જયેશની ધરપકડ અંગે ગુજરાત પોલીસ તરફથી કોઈ અધિકારિક જાણકારી આપવામાં આવી નથી.
જયેશ પટેલ અને તેના 14 સાગરીતો વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ
ગુજરાત સરકારે ગુનાખોરીને કાબૂમાં લેવા માટે ગુજસીટોક કાયદો અમલી બનાવ્યો છે. આ કાયદા હેઠળ જામનગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેના14 સાગરીતો સામે જામનગર પોલીસે પ્રથમ વખત ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો. ઉલ્લેખનીય છે કે જયેશ પટેલ સિન્ડિકેટ બનાવી લોકોને હેરાન કરતો હતો. જયેશ વેપારી અને બિલ્ડરને ધમકાવતો હતો અને લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. આ મામલે જયેશના આઠ સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી છે.