શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર સુધી રહેશે બંધ, હરિભક્તોને કોરોનાની ગાઇડલાઇન પાળવા અપીલ
અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવાળી બાદ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો આવ્યો છે. ત્યારે શાહીબાગ સ્થિત BAPS મંદિર 30 નવેમ્બર, સોમવાર સુધી બંધ રાખવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. BAPS મંદિર સાથે તમામ સંસ્કારધામ પણ સોમવાર સુધી દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BAPS શાહીબાગ મંદિરના કોઠારી સ્વામી સાધુ આત્માકીર્તિદાસે તમામ હરિભક્તોને કોરોના વાઇરસની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરી છે.
મંદિર બંધ હોવાને કારણે હરિભક્તો આજે સવારથી જ બહારથી દર્શન કરી રહ્યા છે. આ અંગે જ્યારે તેમણે જણાવ્યું કે, મંદિર દ્વારા જે નિર્ણય લેવાયો છે તે લોકોના હિતમાં લેવાયો છે, જે સારો જ છે. શ્રદ્ધા હોય તો બહાર ઉભા રહીને પણ ભગવાનના દર્શન થઇ શકે છે. અમે સ્વામીજીનાં નિર્ણયને માથે ચઢાવીએ છીએ.
નોંધનીય છે કે, દિવાળી પર્વ નિમિત્તે, અમદાવાદના શાહીબાગમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિરમાં, ભગવાન સ્વામિનારાયણને અન્નકુટ ધરાવાયો હતો. કોરોનાનું સંક્રમણ ના વધે તે માટે મંદિરમાં ભક્તો, સંત્સગીઓ અને દર્શનાર્થીઓ માટે કોવીડ 19ના દિશા નિર્દેશના પાલન સાથે દર્શન કરવા દેવાયા હતા.